વિચારોની નજીક રહેવુ, વ્યકિતની નજીક નહીં: પૂ. મોરારીબાપુ
કચ્છના ''વ્રજવાણી''માં કાલે કથા વિરામ લેશેઃ હવે ર૭ મીથી પશ્ચિમ બંગાળમાં શ્રીરામ કથા
રાજકોટ તા. ર૦: ''વિચારોની નજીક રહેવુ, વ્યકિતની નજીક નહીં'' તેમ પૂ. મોરારીબાપુએ કચ્છમાં આયોજીત ''માનસ વ્રજવાણી'' શ્રી રામકથાના આઠમા દિવસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યકિત ગમે તેવો હોય પરંતુ તેમના સારા વિચારો આપણે લેવા જોઇએ.
કાલે તા. ર૧ ને રવિવારે કચ્છમાં શ્રીરામ કથા વિરામ લેશે. હવે તા. ર૭ ફેબ્રુઆરીથી તા. ૭ માર્ચ સુધી પશ્ચિમ બંગાળના ગંગાસાગર ખાતે શ્રીરામ કથા યોજાશે.પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથા કહ્યું હતું કે, કોઇકે સરસ લખ્યું છે. સ્વર્ણની કસોટી આગમાં, સુતારની કસોટી લાગમાં, મદારીની કસોટી નાગમાં, સાધુની કસોટી ત્યાગમાં, ધોબીની કસોટી ડાઘમાં, શિકારીની વાઘમાં, માળીની કસોટી બાગમાં, ગાયકની રાગમાં અને ભાઇઓની કસોટી એના ભાગમાં થાય છે. રામચરિત માનસના આધારે કહીએ તો રામને પણ એના સમયમાં માત્ર નવ વ્યકિત જ ઓળખી શકી હતી, એ પણ બહુ મોડે-મોડે.કૌશલ્યાને પણ મોડી ખબર પડી કે રામ ઇશ્વર છે, દશરથ પરાક્રમી પુત્ર જ સમજતા, પછી ઓળખ્યા, વિશ્વામિત્ર જયારે રામે તાડકાને-એક હી બાન પ્રાન હરી લિન્હા, દીન જાની નીજ પદ દિન્હા-ત્યારે ઓળખ્યા, જનકનું મન સહજ રામ તરફ ખેંચાયું ત્યારે ઓળખ્યા હતા.