કોરોનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે દોરાલા(ભરવાડ) પરિવારે કરી ૧૬૦ કિમીની પદયાત્રા
પરિવારના મોટી સંખ્યામાં સભ્યો પગપાળા હળવદ, ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાના કાનાવાડા ગામે પહોંચી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી ધજા ચડાવી
(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૨: વિશ્વ વ્યાપી કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લીધા છે અને કાળમુખા કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના વ્હાલસોયાં સ્વજન ગુમાવ્યા છે. ત્યારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા દરેક હતભાગીઓના આત્માને શાંતિ મળે તે માટે હળવદ-ધ્રાંગધ્રાના દોરાલા(ભરવાડ) પરિવારના મોટી સંખ્યામાં લોકોએ હળવદ, ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામ સુધીની અંદાજે ૧૬૦ કિમીની.પદયાત્રા કરી હતી અને પરિવારના સભ્યોએ પગપાળા યાત્રા કરીને કાનાવાડા ગામે આવેલ કાનાવાળાહનુમાનજી મંદિરે પહોંચીને કોરોના હતભાગીઓના આત્માની શાંતિ માટે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી ધજા ચડાવી હતી.
હળવદ-ધ્રાંગધ્રાના દોરાલા(ભરવાડ) પરિવારના સભ્યો દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દિવગંતોના આત્માની શાંતિ માટે હળવદ,ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામે આવેલા હનુમાનજીના મંદિર સુધીની અંદાજે ૧૬૦ કિમીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદથી અને ધ્રાંગધ્રાથી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામે આવેલા દોરાલા પરિવારના શ્રી કાનાવાળા હનુમાનજીના મંદિર સુધીની પગપાળા યાત્રા ગત તા.૧૫ ફ્રેબ્રુઆરીના રોજ હળવદ, ધ્રાંગધ્રાથી રવાના થઈ હતી. આ પગપાળા યાત્રામાં હળવદ, રાણેકપર અને ધ્રાંગધ્રાના દોરાલા(ભરવાડ) પરિવારના ૧૩૦ જેટલાસ્ત્રી અને પુરુષો જોડાયા હતા.જયારે આ યાત્રા ધ્રાંગધ્રાથી નીકળી હોવાથી હળવદ, રાણેકપરના પરિવારના સભ્યો પોતાના ગામેથી ચાલીને ધ્રાંગધ્રા પહોંચ્યા હતા અને ત્યાંથી યાત્રામાં જોડાયા હતા અને આ પરિવારના તમામ સભ્યોએ અનેક કષ્ટો વેઠી લાંબી મજલની પગપાળા યાત્રા કરીને કાનાવાડા ગામે શ્રી હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા.જયાં હનુમાનજી દાદાને ધજા ચડાવીને કોરોનાના મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.