ખંભાળીયા પોરબંદર રોડ પરના
જર્જરીત પુલ પર પટ્ટાવગરના સ્પીડ બ્રેકર રોજ અકસ્માત સર્જે છે ??
ખંભાળીયા તા.રપ : ખંભાળીયા-પોરબંદર રોડ પર એક હોટલ નજીક આગળ જતા જર્જરીત પુલ પર સ્પીડ બ્રેકરને કારણે રોજે રોજ અકસ્માત સર્જાય છે.
સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી આ સ્પીડ બ્રેકર દુરથી દેખાતા ન હોય અકસ્મતની ઘટના નિરંતર બની રહી છે.
આજે સવારે ભાણવડના દેવુભાઇ જેસાભાઇ નામના પ્રૌઢ તેમના દિકરા તથા પૌત્ર સાથે મોટર સાયકલમાં જોગવડ જતા હતા ત્યારે ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા ધડાકા સાથે બાઇક ઉછળીને પટકાતા ત્રણેય વ્યકિતઓને ગંભીર ઇજા થવા પામી હતી.
આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થવા ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ કારમાં ઘાયલોને સરકારી હોસ્પીટલે પહોંચાડયા હતા આ અંગે પી ડબલ્યુ ડીના અધિકારીઓને જાણ કરી સ્પીડ બ્રેકર ઠીકઠાક કરવા માંગણી કરી છે.
તમામ સ્પીડ બ્રેકર પર મોટા પટ્ટા (સફેદ) કરવાની પણ માંગણી કરી છે.