સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

અતિવૃષ્ટિમાં દર વર્ષે તબાહીનો ભોગ બનતા આમરણ પંથકના ર૪ ગામો

ડેમી-૩ના ૧૬ દરવાજા ખોલાયા અને ફાટસર ગામના તળાવનો પાળો તૂટતા સર્જાઇ હાલાકી

આમરણ, તા. ૧૩ : આમરણ ચોવીસી પંથકમાં ગત શનિવારે ૧પ ઇંચ જેટલા પડેલા વરસાદની અતિવૃટિ અને બીજી તરફ ઉપરવાસમાં આવેલ કોયલી પાસેના ડેમીઅ૩ ડેમના એકીસાથે ૧૬ દરવાજા ૧૮ ફૂટ ખોલીને છોડવામાં આવેલ પાણી અને અધૂરામાં પુરૂ બાદનપર અને ફાટસર ગામના તળાવોની પાળો તૂટતા સર્જાયેલી તબાહીની હકીકતો પાણી ઓસરતા બહાર આવી છે.

ગઇકાલે બપોરે તારાજીગ્રસ્ત આમરણ ચોવીસી પંથકના ગામોની ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ જાત મુલાકાત લઇ માહિતી મેળવી હતી. સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેકટર માંકડીયા, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, સિંચાઇ ભિાગના એકઝી. એન્જી. ઉપાધ્યાય, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, પૂર્વ તા.પં. પ્રમુખ જેઠાલાલ અઘારા, હસમુખભાઇ ગામી વગેરેએ ડાયમંડનગર ખાતે પટેલ વાડીમાં આમરણ ચોવીસીના સરપંચો-આગેવાનોની આપવીતી સાંભળી હતી. હસમુખભાઇ ગાંભવા, બીપીનભાઇ કાસુન્દ્રા વગેરે આગેવાનો હાજર રહ્યા હતાં.

ઉપરોકત બેઠકમાં તારાજી કુદરતી નહીં પણ ડેમી-૩ ડેમના દરવાજા ખોલવામાં થયેલ વિલંબ અને સિંચાઇ અધિકારીઓની બેદરકારી કારણભૂત હોવાની ચોંકાવનારી રજુઆત ઉપસ્થિત રામગઢ (કોયલી)ના આગેવાન મહેશભાઇ દંડેચા સહિત અન્ય આગેવાનોએ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમોએ સવારે જ કોયલી ડેમ પર પહોંચી જઇ ફરજ પરના અધિકારીઓને અતિવૃષ્ટિને કારણે પાણીની વધુ આવક હોય ડેમના દરવાજા એક પછી એક ખોલવાની વિનંતી કરી હતી, પરંતુ ધ્યાન અપાયું ન હતું. બપોર સુધીમાં ડેમ ઓવરફલો થતા એકીસાથે ૧૬ દરવાજા ખોલવાની નોબત આવી પહોંચી હતી. જેને કારણે હેઠવાસમાં આવતો આમરણ ચોવીસી વિસ્તાર જળબંબાકાર બનતા તારાજી અને કરોડો રૂપિયાની નુકશાની જોવાનો સમય આવ્યો છે. અતિવૃષિ સમયે દર વર્ષે ડેમી-૧-ર-૩ ડેમ હેઠળ દરિયાકાંઠે આવેલ છેવાડાના આમરણ પંથકના ર૪ ગામો તબાહીનો ભોગ બનેલ છે.

ડેમી નદીના પૂરના પાણી ફરી વળતા દરેક ગામો બેટમાં ફેરવાયા હતા. ગામોમાં છાતી સમાણા પાણી ઘૂસી ગયા હતાં.

કૃષિક્ષેત્રની સેંકડો હેકટર વાવેતરની જમીન પર મહદઅંશે દોઢ ફૂટ જેટલુ ધોવાણ થયુ છે. તાજો જન્મેલ મોલ નષ્ટ થયો છે. પૂર સંરક્ષણ પાળાઓનું નામોનિશાન રહ્યુ નથી. ૧૨ ગામોના ચેકડેમો તૂટી ગયા છે. ઉટબેટશામપર ગામે દરીયાઈ પાણીને આવતુ રોકવા માટે બાંધવામાં આવેલ રેકલેમેશન પાળામાં ગાબડા પડયા છે. બાદનપર તથા ફાટસર ગામોના તળાવની પાળોમાં ૪૦ ફૂટ લંબાઈના ગાબડા પડતા ભરચોમાસે તળાવો ખાલી થયા છે. કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. આમરણ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં ૧૦ ફૂટ જેટલુ પાણી ભરાતા ચોવીસીના હટાણાની અનાજ કરીયાણા સહિત અન્ય ધંધાર્થીઓની દુકાનો અને કેબીનો પાણીમાં ગરકાવ થતા માલસામાન, ફર્નિચર પલળી જતા મોટાપાયે નુકસાની થયેલ છે આમરણ - ડાયમંડનગર ખાતે ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થયુ છે. દિવાલો ધરાશયી થઈ છે.  પીજીવીસીએલ ડે. એન્જિ. સાણજાએ જણાવ્યુ હતુ કે ખેતીવાડી ક્ષેત્રના ૫૦૦ જેટલા વીજપોલ ધરાશયી થયા છે. જ્યારે ૫૦ જેટલા વીજ ટ્રાન્સફોર્મરો બળી ગયા છે.

આમરણ ચોવીસીમાં ૨૪ કલાકમાં ખોરવાયેલ વીજ પુરવઠો ડે. એન્જિ. સાણજા અને ટીમ દ્વારા રાત દિવસની જહેમત બાદ ચાલુ કરી દેવાતા સરાહના થઈ રહી છે.(

(1:14 pm IST)