સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

પડધરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરગ્રસ્ત લોકોને તાત્કાલીક સહાય આપવા લલીતભાઇ કગથરાની માંગણી

પડધરી, તા. ૧૩ : પડધરી અને આસપાસના તાલુકાના સર્વત્ર ગામોમાં સાંબેલાધારે પડેલ વરસાદથી નદી, વોંકળાના પાણી ગામમાં ધસી આવેલ જેથી નીચાણ વાળા વિસ્તારોમાં પડધરીના આંબેડકર નગરમાં બેથી પાંચ ફૂટ પાણી રહેઠાણ વિસ્તારમાં આવી જતા આશરે ૪પ૦ લોકોનું સ્થળાંતર કર્યું હતું. આંબેડકરનગરમાં વસવાટ કરી રહેલ પરિવારોના ઘરમાં જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પલળી જતા હાલ કફોડી સ્થતિમાં મુકાયેલ છે. પડધરી-ટંકારા વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ કગથરાએ સ્થાનિક લોકોની તકલીફ બાબતે મામલદારની પડધરી અને ઉચ્ચ અધિકારીઓને પુરપ્રભાવિત પરિવારોને તાત્કાલીક સહાય આપવા જણાવેલ. તેઓની સાથે ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને સામાજીક કાર્યકર કાનજીભાઇ ચાવડા રહેલ અને સાવચેતીના પગલારૂપે વોકળા સાફ કરાવવા અને પુરસરક્ષણ દિવાલ બનાવવા જણાવ્યું હતું.

પડધરી અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન અને વરસાદ પડતા અનેક ઝાડ પડી ગયેલ અને વિજ પુરવઠો ખોરવાઇ ગયેલ. પુનઃ કાર્યરત કરવા માટે પડધરી પીજીવીસીએલના અધિકારી મહેશ, સોજીત્રા, ધડુક, ગજેરા તેમજ કર્મચારી નરેન્દ્રભાઇ કપાસી, ઉમંગભાઇ તડવી, વી.એસ. નીનામા, એમ.એસ. રાઠોડ તેમજ રાજુભાઇ તડવી સહિતના કર્મચારીએ યુદ્ધના ધોરણે કામગીરી કરી ફરીથી સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવેલ તેમ પડધરી મામલતદાર ભાવનાબેન વિરોજાએ પણ કચેરી પર ઉપસ્થિત રહી લોકોને મદદરૂપ થયેલ છે તે સરાહનીય છે.

(1:09 pm IST)