સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th August 2019

કચ્છમાં વરસાદ બાદ ૧૦૪ ગામોમાં અંધારપટઃ ૩૦૦ વિજપોલ ધરાશાયીઃ ૭૦ ગામોનાં રસ્તાઓનું ધોવાણઃ રેલ્વે વ્યવહાર ખોરવાયો

ભારે વરસાદ બાદ ઠેકઠેકાણે નુકશાનઃ પહેલા ઘરેલુ અને બાદમાં ખેતીવાડીનો વીજ પુરવઠો પુર્વવતઃ કરાશે

પ્રથમ તસ્વીરમાં રેલ્વેના પાટાની હાલત તથા બીજી તસ્વીરમાં ભરાયેલા પાણી નજરે પડે છે(તસ્વીરઃવિનોદ ગાલા.ભુજ)

ભુજ, તા.૧૩: કચ્છમાં મેઘરાજાએ મહેર કરતા પ થી ૨૨ ઇંચ સુધી વરસાદ વરસતા જળસંકટ તો દુર થયુ છે. સાથોસાથ અનેક જગ્યાએ નુકશાની પણ થઇ છે.

ભારે વરસાદને પગલે કચ્છ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૭૦ જેટલા જાહેરમાર્ગો ધોવાઈ જવાથી નુકસાન થયું છે. જેમાં ૬૪ રસ્તાઓ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના હોવાનું કાર્યપાલક ઈજનેર જે.એમ. સોલંકીએ અને ૬ રસ્તાઓ રાજય સરકારના માર્ગ મકાન વિભાગ હસ્તકના હોવાનું કાર્યપાલક ઈજનેર કે.એન. પટેલે જણાવ્યું છે. ધોવાણ થયેલા રસ્તાઓ માં જિલ્લા પંચાયત હસ્તકના અબડાસાના ૧૨, ભચાઉના ૧૨, લખપતના ૧૧, ભુજના ૮, નખત્રાણાના ૭, માંડવીના ૬, રાપરના ૩, અંજારના ૩, મુન્દ્રના ૨ છે. કયારે સ્ટેટ રોડ પૈકી નખત્રાણા માં ૧, અબડાસામાં ૧ અને લખપત ૨ તેમ જ ભચાઉ માં ૨ છે. કચ્છ જિલ્લામાં ૧૦૪ ગામોમાં અંધારપટ છવાયો છે. પીજીવીએલના સર્વે મુજબ ૬ વીજ ફીડરો બંધ છે, જયારે પૂર્વ કચ્છમાં ૧૦૦ અને પશ્યિમ કચ્છમાં ૨૦૦ એમ ૩૦૦ જેટલા વિજપોલ પડી ગયા છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ઘના ધોરણે કામ ચાલુ છે, સૌરાષ્ટ્રમાં થી ટીમો બોલવાઈ છે, તો અન્ય તાલુકામાંથી કોન્ટ્રાકટરોને બોલાવીને કામ શરૂ કરી દેવાયું છે. પીજીવીએસલના કચ્છના અધિક્ષક ઈજનેર અમૃત ગરવાના જણાવ્યા પ્રમાણે ઝડપભેર પરિસ્થિતિ થાળે પડી જશે. પહેલા ઘરેલુ વીજ પુરવઠો અને બાદમાં ખેતી વાડીનો વીજ પુરવઠો યથાવત થઈ જશે.

જોકે, ધરાણા ગામનું તળાવ તૂટી પડતાં વોંધ ભચાઉ પાસે રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. એટલે મુંબઈ, પાલનપુર, દિલ્હી અમદાવાદનો ટ્રેન વ્યવહાર શનિવારથી બંધ છે. જે પૈકી ચાર દિવસ થયા ૬૦૦ મજૂરો કામે લાગ્યા હોઈ હજી એકાદ દિવસ પછી રેલવે વ્યવહાર પૂર્વવત થશે એવું પશ્યિમ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું છે. જોકે, એક બાજુ અપ લાઈનનું સમારકામ પૂર્ણ થતાં ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે.(૨૩.૬)

(11:47 am IST)