ભાવનગરના આંગડીયા કર્મચારીનું અપહરણ કરીને ૧૪ લાખની લૂંટનો પ્લાન નિષ્ફળ
અપહરણકારોની કાર દિવાલ સાથે અથડાતા આર. મહેન્દ્ર આંગડીયા કર્મચારીને છોડીને નાશી છૂટયા
ભાવનગર, તા. ૧૧: ભાવનગરના આર. મહેન્દ્ર આંગડીયાના કર્મચારીને ઢસા નજીક એક કારમાં આવેલા પાંચ શખ્સોએ પોલીસ ચેકીંગ છે તેમ કહી પોતાની કારમાં બેસાડી અપહરણ કરી રૂ.૧૪ લાખની મત્તાની લૂંટનો પ્લાન કરેલ, પરંતુ ઇશ્વરીયાના પાટીયા પાસે આ કાર એક દિવાલ સાથે અથડાતા આ પાંચેય શખસો કારને અને આંગડીયા કર્મીને બનાવ સ્થળે છોડી નાસી છૂટયા હતાં.
આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ આર. મહેન્દ્ર નામની આંગડીયા પેઢીના કર્મચારી મનુભાઇ રામાભાઇ પટેલ ઉ.વ.પપ આંગડીયા પેઢીના હીરા, રોકડ અને ઘરેણા મળી કુલ રૂ. ૧૪ લાખની માલમત્તા સાથે ભાવનગરથી ઢસા જતા હતાં ત્યારે રસ્તામાં ઢસા નજીક એક ઇટીઝો કાર ન.જીજે-સીવાય-૧પ૬૩ પાસે ઉભેલા પાંચ અજાણ્યા શખ્સો જે સીવીલ ડ્રેસમાં હતાં તેઓએ પોતે પોલીસમાં હોવાનું જણાવી ચેકીંગ કરવાનું છે તેમ કહી આંગડીયા કર્મી મનુભાઇને કારમાં બેસાડી કાર ચલાવી તેને લઇ જતા હતાં ત્યારે સોનગઢ નજીક ઇશ્વરીયા ગામના પાટીયા પાસે આ કાર એક દિવાલ સાથે અથડાતા અકસ્માત બાદ આ શખ્સો કારને અને આંગડીયા કર્મીને બનાવ સ્થળે જ છોડી નાસી છૂટયા હતા.
આમ અકસ્માતને કારણે ભાવનગરનો આંગડીયા કર્મીની લૂંટ થતા બચી જવા પામેલ છે. આ અંગે આંગડીયા કર્મી મનુભાઇ રામાભાઇ પટેલએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.