સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th March 2019

જવાહર ચાવડાના રાજીનામાથી ખાલી પડેલ માણાવદર ધારાસભા બેઠકની પેટા ચૂંટણી ૨૩ એપ્રિલે યોજાશે

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘી દ્વારા તૈયારીઓ શરૂ

જૂનાગઢ તા.૧૪: જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ૪ ટર્મથી ચૂંટાતા ૅધારાસભ્ય જવાહરભાઇ ચાવડાને તાજેતરમાં કોંગ્રેસમાંથી અલવિદા કરી ધારાસભ્યપદેથી વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હતું.

૩૦ વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ જવાહરભાઇ ચાવડાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતાં રાજીનામાનાં ગણતરીનાં જ કલાકોમાં રૂપાણી સરકારમાં જવાહરભાઇને કેબિનેટ પદ આપવામાં આવેલ.

રવિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી જેની સાથે ગુજરાતમાં ઉંઝા અને સોરઠની તાલાલા વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવેલ.

પરંતુ માણાવદર ધારાસભાની બેઠકની પેટા ચૂંટણી આજે લોકસભાની સાથે ૨૩ એપ્રિલનાં રોજ જાહેર કરવામાં આવી છે જેનાં પગલે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

માણાવદર વિધાનસભા મતક્ષેત્ર હેઠળના મતદારોએ માણાવદર ધારાસભાની પેટાચૂંટણી અને જૂનાગઢ લોકસભા બેઠક  માટે એમ બે મત આપવા પડશે.

માણાવદર વિધાનસભા મત વિસ્તાર જવાહરભાઇ ચાવડાનો ગઢ છે. આથી પેટા ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર પેટા ચૂંટણી જંગમા ઝંપલાવે છે તે જોવું રહ્યું.

(11:42 am IST)