ગોંડલમાં પ્રેરણાદાયક સેવાકાર્ય
ગોંડલ, તા.૧૮: ગોંડલના આશાપુરા રોડ પર છેલ્લા ઘણા દિવસથી શારીરિક અને માનસિક બીમારીથી પીડાતા એક વિકલાંગ વ્યકિતની વહારે યુવાનોએ દોડી આવી સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું અને તેને અત્રેના બાલાશ્રમમાં આશ્રિત તરીકે સ્થાન અપાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સવારના આશાપુરા રોડ પરથી પસાર થઈ રહ્યા હોય તેઓની નજરે શારીરિક અને માનસિક બીમારીથી પીડાતા અને પગે અપંગ એક વ્યકિત આવવા પામ્યા હતા તુરત જ તેઓએ ત્યાં થોભી હેપી એન્ડ હેલ્પ ગ્રુપના પ્રતિપાલસિંહ જાડેજા દુષ્યંતસિંહ જાડેજા તેમજ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરુને એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર બોલાવ્યા હતા, એકત્રિત થયેલ યુવાનો દ્વારા બીમાર અને અશકત વ્યકિતને પ્રથમ સાંત્વના આપવામાં આવી હતી, મોન્ટુભાઈ ભટ્ટી દ્વારા તેનું ક્ષઔર કર્મ કરી અપાતા સર્વે યુવાનોએ તેને સ્નાન કરાવી નવા કપડા અને ગરમ સ્વેટર પહેરાવી આપ્યું હતું. સાથોસાથ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા બીમાર વ્યકિતના પરિવારજનોનો સંપર્ક ન થાય ત્યાં સુધી તેને બાલાશ્રમમાં આશ્રિત તરીકે રાખવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.(૨૩.પ)