જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમામાં નાચ, ગાન, સ્પિકરો વગાડવા સામે પ્રતિબંધ મુકાયો
નક્કી કરેલા રૂટ સિવાયના જંગલમાં પ્રવેશ પર પાબંધી
જૂનાગઢના ગરવા ગિરનાર જંગલમાં પ્રતિ વર્ષ યોજાતી લીલી પરિક્રમાનો 19 નવેમ્બરથી પ્રારંભ થનાર છે ત્યારે પરિક્રમા માટે તંત્ર દ્વારા વિવિધ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અંગે નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે કે સેવાભાવી સંસ્થાઓ, અન્નક્ષેત્રો,પાણીના પરબો વગેરે જંગલમાં રાવટી નાંખી શકશે પરંતુ વ્યાવસાયિક જાહેરાત માટે છાવણી, સ્ટોલ કે રેંકડી નાંખવા પર પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત અધાર્મિક નાચ ગાનની પ્રવત્તિ પર મનાઇ છે. સ્પિકરો, ટેપ, રેડીયો વગેરે લઇ જઇ નહિ શકે.પ્લાસ્ટિની બેગ, પાન, માવા, બીડી, સિગારેટ, સાબુ, ડિટર્ઝન્ટના વેચાણ અને વપરાશ પર મનાઇ છે. જયારે ભવનાથથી રૂપાયતન, ઇંટવા, ચારચોક, ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક, ઝીણાબાવાની મઢીથી માળવેલા, રોકડીયા હનુમાન, માલીવાડાથી પાટવડ કોઠા, સુરજકુંડ સુધીનો રસ્તો, સરકડીયાથી નળપાણીની ઘોડી, બોરદેવી અને ભવનાથ સુધીનો રસ્તો પરિક્રમા માટે નિયત કરાયો છે. જંગલમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઇ છે. પશુઓને છંછેડવા નહિ,ઝાડ વગેરેનું કટીંગ કરવું નહિ, રસ્તામાં અગ્નિ પેટાવવો નહિ.