વાંકાનેરના મીલ પ્લોટ-વિશીપરામાં લાઇટ-રસ્તા-સફાઇ બાબતે પાલિકાનું ઓરમાયું વર્તન : આવેદન
વાંકાનેર : છેવાડાના અમરપરા (મીલ પ્લોટ) અને વિશીપરા વિસ્તારમાં લાઇટ-સફાઇ-રસ્તાના પ્રશ્ને નગરપાલિકાનું તંત્ર ઉદાશીનતા સેવતું હોય તેને ઢંઢોળવા અને પાલિકા દ્વારા આ વિસ્તારની પ્રાથમિક જરૂરીયાત સમા આ પ્રશ્ન બાબતે આવેદનપત્ર સેવા સદન ખાતેઅર્પણ કર્યું હતું. મીલ પ્લોટ વિસ્તારના સામાજીક કાર્યકર એઝાઝ સલીમભાઇ બ્લોચ અને ઉપરોકત વિસ્તારના રહીશોએ અમરપરા અને વિશીપરા વિસ્તારમાં પાલિકા દ્વારા રસ્તાઓની બદતર હાલત તથા આ વિસ્તારમાં ગટર અને સફાઇ કરવામાં આવતી જ નથી જેને લઇને ગટરના ગંદા પાણી ઉભરાવાની-ઠેકઠેકાણે ગંદકીના જામેલા થર આ પ્રશ્નોની અનેક વખત પાલિકામાં રજુઆતો કરી છે, પણ નીંભર તંત્ર કાઇ સાંભળતું નથી. વાંકાનેરના ચીફ ઓફીસરને પણ મોરબીનો ચાર્જ આપેલ હોય મોટા ભાગે તેઓ મોરબી હોય રજુઆત પણ કોને કરવી સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત અને પછાત વિસ્તારના વિકાસ માટે લાખોની ગ્રાન્ટ ફાળવે છે, પણ અહીંની પંદર હજારની વસ્તી ધરાવતા ઉપરોકત વિસ્તારોમાં વિકાસ તો શું પ્રાથમિક સુવિધા લાઇટ-પાણી-રસ્તા અને સફાઇના પ્રશ્ને પણ નગરપાલિકાનું તંત્ર ઓરમાયું વર્તન દાખવતા આ વિસ્તારના નગરજનોની ધીરજ ખૂટી હતી. અને નગરપાલિકા હાય..હાય, પાલિકાના સભ્યો રાજીનામા આપે, મીલપ્લોટ-વીશીપરાને પ્રાથમિક સુવીધા આપે તેવા નાના બેનરો સાથે મહિલાઓ અને પુરૂષો સ્થાનિક ધારાસભ્યો સાથે રાખી મામલતદારશ્રીના પ્રતિનિધિને આવેદનપત્ર આપ્યું હતું. આ વેળાએ વિશીપરાના અગ્રણી ભુપતભાઇ પઢીયાર, શંકરભાઇ, રાજ પઢીયાર, બોદુભાઇ બ્લોચ , શકિલભાઇ પીરઝાદા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ સાથે રહ્યા હતાં. આવેદનપત્રમાં ૧પ દિવસનું અલ્ટીમેટ આપવામાં આવ્યું છે. જો પંદર દિવસમાં નિવાળો નહી આવે તો શહેરના માર્કેટ ચોકમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. (તસ્વીર : નિલેશ ચંદારાણા)