જામનગરનાં નિવૃત પોલીસ ઈન્સપેકટર ૭ મહિનાથી પેન્શનથી વંચીતઃ આરટીઆઈ દ્વારા માહિતી માંગી
જામનગર, તા. ૧૧ :. જામનગરના નિવૃત પોલીસ ઈન્સપેકટર છેલ્લા ૭ મહિનાથી પેન્શનથી વંચિત રહેતા આ અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી છે.
નિવૃત પોલીસ ઈન્સપેકટર રઘુવીરસિંહ જાડેજાએ જાહેર માહિતી અધિકારી પોલીસ મહાનિર્દેશન અને મુખ્ય પોલીસ અધિકાર શ્રી ગાંધીનગરને પત્ર પાઠવીને વિલંબીત પેન્શન કેશ અંગેની છેલ્લી સ્થિતિની જાણકારી આપવા માંગણી કરી છે.
તેઓએ જણાવ્યુ હતુ કે, દેવભૂમિ દ્વારકા જીલ્લામા તા. ૩૧-૧૨-૧૭ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થયા બાદ હજુ સુધી પેન્શન તથા અન્ય મળવાપાત્ર લાભ મળ્યા નથી.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, નિવૃતિની તારીખ પહેલા પેન્શન કેસ તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી, પરંતુ હજુ સુધી પેન્શન મળતુ નથી.
જેથી આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાની હોવાથી આ મુદ્દે તાકીદે માહિતી આપવા નિવૃત પોલીસ ઈન્સપેકટર રઘુવીરસિંહ પંચાણજી જાડેજાએ માંગણી કરી છે.(૨-૩)