સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

પાણી પ્રશ્ને જોડિયા બંધ : રેલી - આવેદન

ધોમધખતા તાપમાં ગ્રામજનો અને પશુઓની હાલત કફોડી : ભભુકતો રોષ

જોડિયા તા. ૪ : જામનગર જિલ્લાના જોડિયામાં ઉંડ-૨ ડેમની પાઇપલાઇનમાંથી પાણી પુરૃં પાડવા માટે જોડિયા ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર રજુઆત કરાયા પછી જીલ્લા કલેકટર અને ધ્રોલ એસડીએમ વગેરેની દરમ્યાનગીરીથી પાણીનો પુરવઠો ચાલુ કરાયો હતો. જે સ્થળે ગઈકાલથી ફરીથી પાણી પુરવઠો બંધ થયો હતો અને અન્યત્ર સ્થળેથી પાણી ઉપાડવા માટે વિજતંત્ર દ્વારા વીજ પુરવઠો પહોંચાડવાનો નનૈયો ભણી દેતાં જોડીયા ગ્રામ પંચાયત દ્વારા આજે ગામ બંધનું એલાન અપાયું છે અને રેલી કાઢીને ફરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

 જોડીયાની ૧૫ હજારની પ્રજા અને આઠ હજારનું પશુધન વગેરેને ઉંડ-૨ ડેમમાંથી પાણી અપાતું હતું. જે ડેમમાં પાણી ખાલી થઈ જવાથી ઉંડના લખતર ગામના વિસ્તારમાં કુવામાંથી પાણી અપાઈ રહ્યું છે. જો પાણી મેળવવા માટે જોડીયા ગ્રામ પંચાયત દ્વારા ધ્રોલ એસડીએમ અને જામનગરની કલેકટર કચેરી સુધીના દ્વાર ખટખટાવવા પડયા હતા અને કલેકટરની દરમ્યાનગીરીથી જુની પાઈપલાઈન લીકેજ હોવા છતાં પણ જોડીયાની પ્રજા પાણીથી વંચિત રહી ન જાય તે માટેનું આયોજન કરી પાણી વિતરણ પુનઃ શરૂ કરાયું હતું.

સ્થાનિક પીવાના પાણીનો કોઇ શોર્ષ ન હોવાથી ૧૦ કિ.મી. દૂર આવેલ ઉંડ ડેમમાંથી ગ્રામ પંચાયત દ્વારા પાણી વર્ષોથી મેળવાઇ રહ્યું છે. તાજેતરમાં ઉંડ ડેમ નજીક આવેલ લખતર ગામના એક ભાજપી સભ્યએ જોડીયાની આ જીવાદોરી સમાન લાઇન કપાવી નાખી અને પાણી જે જોડિયાની ૧૫૦૦૦ની વસ્તીને અને ૮૦૦૦ પશુધનને પુરૃં પાડતી હતી તેને નષ્ટ કરવાનું મહાપાપ કરેલ છે. જેના કારણે સ્થાનિક પ્રજામાં ઉગ્ર રોષની લગાણી ફેલાઇ છે.

ઉંડ ડેમની આસપાસ ૧ કલાકના રૂ. ૨૦૦ના ભાવથી ખેતી માટે પાણી વેચાઇ રહ્યું છે. જ્યારે પીવાના પાણી માટે વલખાં મારતી પ્રજાની હાલત પ્રત્યે સિંચાઇ વિભાગના અધિકારીઓ આ બાબતે આંખ-આડા કાન કરી રહ્યા છે.

સ્વજ્ઞાતિના ભાજપના એક ઉચ્ચ સ્થાને રહેલા નેતાના પીઠબળના કારણે આ ભયંકર કૌભાંડ ચાલી રહ્યું હોવાનું ચર્ચાય છે.

ચોક્કસ જ્ઞાતિના આ અમુક નીચ લોકો જોડિયાની પ્રજાને પીવાના પાણીથી વંચિત રાખી રીબાવા ઇચ્છે છે. જેના પરિણામ થકી ઉગ્ર વર્ગવિગ્રહ ફાટી નીકળવાની ભીતી સેવાઇ રહી છે. તાકીદે તંત્રે આ બાબતે ગંભીરતાથી પગલા લઇ યોગ્ય વ્યવસ્થા નહિ ગોઠવે તો અતિ ઉગ્ર આંદોલન શરૂ થવાના ચક્રો ગતિમાન થઇ ગયા છે.(૨૧.૧૭)

(11:59 am IST)