ટંકારામાં પાણી પ્રશ્ને ઉપવાસ આંદોલનનો બીજો દિ'
લલિતભાઇ કગથરા, વાઘજીભાઇ બોડા સહિતનાએ ટેકો આપ્યો
ટંકારા તા. ૧૬ :.. પાણી પુરવઠા યોજના હેઠળ ફીલ્ટર પ્લાન્ટ સાથેની યોજના માટે ગ્રાન્ટ ફાળવવાના પ્રશ્ને ટંકારાના મહીલા સરપંચ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાવેલ છે.
ઉપવાસ આંદોલનના બીજા દિવસે સહકારી અગ્રણી વાઘજીભાઇ બોડાએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધેલ અને પ્રશ્નની જાણકારી મેળવેલ હતી.
શ્રી વાઘજીભાઇ બોડાએ જણાવ્યું કે ટંકારાની માગણી સાચી છે અને સાચી વસ્તુને મારો ટેકો છે.
ટંકારાના લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે યોજના બને સર્વે થાય. પ્લાન એસ્ટીમેન્ટ બને. વહીવટી તાંત્રીક મજૂરી અપાયેલ છે. ટેન્ડર પણ બહાર પડેલ છે. અધિકારીઓ દ્વારા જાણવા મળે છે કે ગ્રાન્ટ નથી.
ગ્રાન્ટ ફાળવવાની જવાબદારી સરકારની છે. આટલી વહીવટી પ્રક્રિયા પુરી થયા પછી ગ્રાન્ટ ફાળવવામાં ન આવે તો સરકારની અણ આવડત છે.
સરકારે ટંકારાની પ્રજાની વ્યાજબી માંગણી સ્વીકારી તાત્કાલીક ગ્રાન્ટ ફાળવણી જોઇએ.
મહીલા સરપંચ નિશાબેન ત્રિવેદીની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા તા. ૧પ-પ-૧૮ થી મામલતદાર કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ થયેલ છે.
પ્રથમ દિવસે જ ટંકારાના ગ્રામજનો તથા મહીલાઓ પોતાના નાના બાળકો સાથે આંદોલનમાં જોડાયેલ.
પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા છાવણીની મુલાકાત લીધેલ. અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે. તેમ જણાવેલ.
ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી લલિતભાઇ કગથરા તથા તા. પં. પ્રમુખ ભુપેન્દ્રભાઇ ગોધાણીએ પણ છાવણીની મુલાકાત લીધેલ.
લલિતભાઇ કગથરાએ જણાવેલ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિના લોકોને પીવા માટે શુધ્ધ પાણી મળતુ નથી.
ટંકારા માટે ત્રણ વર્ષ પહેલા યોજના બને. યોજના મંજૂર થાય. તેના ટેન્ડરો બહાર પડે. એજન્સી નકકી થાય. અને તેમ છે. ગ્રાન્ટ ન અપાય તે ટંકારા માટે જ બને. તો આ વહીવટ કેવો ગણવો ?
સામાન્ય રીતે ગ્રાન્ટ ફાળવાય પછી જ ટેન્ડર બહાર પાડવામાં આવે છે.
પાણી યોજના પ્રશ્ને ચાલતા પ્રજાના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે.