સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

જામનગરના જાયવામાં રસ્તા, પાણી, ગટરના પ્રશ્ને ગ્રામજનોમાં આક્રોશ

ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ, મેલેરીયાનો રોગચાળો વકર્યોઃ મામલતદારને આવેદન

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવામાં અનેક પ્રશ્ને ગ્રામજનોએ રોષ વ્યકત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

 

રાજકોટ તા. ૧૩ : ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રસ્તાઓ, પાણી અને ગટરોની સમસ્યા અંત્યંત વિકટ બની છે અને ગામજનો પોતાની સમસ્યાનો અંત આવે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ રોડથી જાયવા ગામ તરફ જતો સિંગલ પટ્ટી માર્ગ જયાંથી લૈયારા સહિતના ગામનાં લોકો પસાર થાય છે જે છેલ્લા પાંચ વર્ષથી એટલો બદ્દતર હાલતમાં છે કે બીમાર વ્યકિત વધુ મુસીબતમાં મુકાય જાય તેવા સંજોગોમાં પણ ત્યાંથી પસાર થવું પડે છે.

ગામમાં ભૂગર્ભ ગટરો ન હોવાથી ગંદા પાણીનો ફેલાવો થઈ રહ્યો છે જેના કારણે ગામમાં ડેન્ગ્યુ,ચિકનગુનિયા, તાવ, મેલેરિયા જેવી અનેક બીમારીનાઙ્ગ સામેં આવી રહ્યા છે અને હજુ પણ ઘણા ગામના લોકો ચિકનગુનિયાથી પીડિત છે આ સિવાયની સમસ્યાની વાત કરીએ તો સૌથી મોટી પાણીની સમસ્યા છે ઉનાળા જેવી સીઝનમાં ખેતરોમાં પણ પાણી ખૂટી જતા હોય છે ત્યારે જાયવા ગામની મહિલાને દૂર સુધી પીવાના પાણી માટે ફાંફાં મારવા પડે છે અને રોજિંદા જીવન ઉપયોગ પાણી માટે પાધરમાં આવેલ કૂવામાંથી સીંચીને ભરવું પડે છે પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે પાણી સીંચતી વખતે મોટી ઘટના પણ બની સકે તેવી પરિસ્થિતિ જોવા મળે છે

પાણી પ્રશ્ને અગાવ પણ ગામની મહિલાઓ દ્વારા મામલતદાર કચેરી અને ધ્રોલ નગરપાલિકામાં હંગામો મચાવ્યો હતો પરંતુ આ સમસ્યાનો હજુ ઉકેલ ન આવતા છેવટે એક વર્ષ બાદ ફરીથી ગામજનો દ્વારા રસ્તાઓ,પાણી અને ગટરોની સમસ્યા ઉકેલવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુરૂવારે મામલતદાર કચેરી ધ્રોલ ખાતે આવેદનપત્ર આપી ગામજનોએ રોષ ઠાલવ્યો હતો અને પોતાની ખાનગી સમસ્યાની તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે આવેદનપત્રમાં ગામજનોને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ સાત વર્ષની રસ્તાઓ,પાણી અને ગટરોની સમસ્યા ખુબજ બિસ્માર બની છે જેના કારણે ગામના લોકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ખાનગી સમસ્યાની નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ ગામજનો દ્વારા કરવામાં આવી રહી છે.

(1:05 pm IST)