બાબરા પંથકમાં સિંહના આંટાફેરા
ગ્રામ્ય વિસ્તારોમાં મારણ કરતા લોકોમાં ફફડાટ
(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨૦ : બાબરા તાલુકા ના અલગ અલગ ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહ આટાફેરા મારી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલા જ બાબરા તાલુકાના થિજડીયા કોટડા ગામે સિંહે એક વાછડીનું મારણ કર્યું હતું ત્યાર બાદ તાલુકાના બળેલ પીપળીયા ગામે પણ રાત્રીના એક ગાય ઉપર સિંહે હુંમલો કરતા ગાયનું મોત થયું હોવાની સર્ચા થઈ રહી છે. ત્યારે બાબરા તાલુકાના નડાળા ગામે રાત્રીના ૨ થી ૪ રહ્યા દરમ્યાન સિંહેએ એક બકરી અને એક વાછડાનો શિકાર કર્યો છે.
બાબરાના લોનકોટડા ગામે પણ ગઈરાત્રી ના સમયે સિંહે દર્શન દિધા હતા જે લોનકોટડાની ધાર ઉપર પસાર થતા વાહન ચાલકો દ્વારા પોતાના ફોનમાં કેદ કરી લીધા હતા માટે વહેલી તકે વન વિભાગ પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.
બાબરા પંથકમાં સિંહે દેખા દેતા તાલુકાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ શિયાળુ પાકની સીઝન ચાલુ છે તેવા સમયે સિંહે દેખાદેતા ખેડુતોમાં ડરનું મોજુ ફળી વળ્યું છે. ખેડુતો રાત્રીના સમયે પાણી વાળવા જતા પણ ડરી રહ્યા છે. તે માટે ખેડુતોની માંગ છે કે, વન વિભાગ તાત્કાલિક આ સિંહને પાંજરે પુરી લોકોને રાહત આપો.