જુનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પ૧૦૦ કિલોનો અન્નકુટ ધરાયો
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મંદિરના ચેરમેન દેવનંદનદાસજી મહંત શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) પી. પી. સ્વામી ચંદ્રપ્રસાદદાસજી સ્વામી ધર્મકિશોરદાસજી સ્વામી કુજવિહારીદાસજી સ્વામી સહિતના સંતોના માર્ગદર્શન હેઠળ ભગવાનને પ૧૦૦ કિલો અન્નકુટ બનાવી ધરાવાયો હતો જેમાં ૧૦૮ પ્રકારની વાનગી બનાવવા માટે ૧૦ દિવસ સુધી કામગીરી કરાઇ હતી. કોઠારી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે આ અન્નકુટનો પ્રસાદ ૭પ૦ ગામોમાં વિતરણ શરૂ કરાયુ છે. અને હરિભકતોને ઘરે બેઠા પ્રસાદ મળે તે માટે ગામે ગામ સ્વયંસેવકોની કમીટી બનાવી કામગીરી કરવામાં આવી રહી છે.
તેઓએ વધુમાં જણાવેલ કે દિપોત્સવી પર્વ દરમ્યાન અસંખ્ય શ્રધ્ધાળુઓએ કોરોનાની મહામારી વચ્ચે પણ ભગવાનને કૃતજ્ઞતા વ્યકત કરેલ અને સરકારી ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરી સેનેટાઇઝ થઇ માસ્ક પહેરી સોશ્યલ ડીસટન્સ જાળવી સ્વયં શિસ્ત સાથે સૌ હરિભકતો દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.