ભાવનગરમાં ચાર બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરોઃ સવા પાંચ લાખની ચોરી
ભાવનગર તા. ર૦ :.. ભાવનગરમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર બંધ મકાનને નિશાન બનાવી કુલ રૂ. પ.૧૪ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં.
શહેરમાં ચોરીનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. તસ્કરોનાં તરખાટથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.
ચોરીનાં પ્રથમ બનાવમાં શહેરનાં ચિત્રા વિસ્તારમાં સુખસાગર સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ નાનજીભાઇ રાઠોડનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી ૩પ હજાર રોકડા અને સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧૦રપ૦૦ ની બાજુમાં રહેતાં ઉમેશભાઇ બારૈયાના મકાનને પણ નિશાન બનાવી રોકડા ત્થા ઘરેણા મળી રૂ. ૧૯૧૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં.
ચોરીનાં ત્રીજા બનાવમાં શહેરનાં દેસાઇનગર પેટ્રોલ પંપ પાસે ઋષીરાજનગરમાં રહેતાં રાઘવભાઇ મધુસુદનભાઇ ચૌહાણ પરિવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે બંધ મકાનનાં તાળા તોડી તસ્કારો ટીવી કેમેરા, ઘડયાળ ૭પ હજાર રોકડા મળી કુલ રૂ. ૩૮૮૭૦૦ ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતાં.
ચોરીનાં ચોથા બનાવમાં શહેરનાં સુભાષનગર વિસ્તારમાં ધર્મરાજ સોસાયટીમાં પ્લોટ નં. ર૯ માં રહેતાં વકીલ પ્રવિણભાઇ વામનલાલ પટેલ પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તેનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. ૪૬૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતાં. આમ ચોરીનાં ચાર બનાવોમાં તસ્કરો કુલ રૂ. પ૧૪૯૦૦ ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (પ-૧૧)