ગીરના જંગલ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં 11 સિંહોના મોત :ત્રણ સિંહોના કોહવાયેલા મૃતદેહ મળ્યા
ગીરના જંગલ અને આસપાસના જિલ્લામાં છેલ્લા અઠવાડીયામાં કુલ 11 સિંહોના મોત થયાની પૃષ્ટી વનવિભાગે કરી છે. જેમાં છેલ્લા 3 દિવસમાં જ 3 સિંહોના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય મૃતદેહ દલખાણીયા ફોરેસ્ટે રેન્જમાંથી મળ્યા છે જ્યારે એક સિંહનું મોત રાજુલા પંથકમાં થયું છે
ગીર જંગલમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત રહ્યો હોય તેવી રીતે આ મૃતદેહ મળ્યા છે. ત્યારે દલખાણીયા રેન્જમાં થયેલા સિંહોના આ મૃતદેહ એટલી કોહવાયેલી હાલતમાં મળી આવ્યા છે કે આ મૃતદેહ સિંહનો છે કે સિંહણનો તે ઓળખવું મુશ્કેલ બન્યું છે. તમામનો પીએમ રીપોર્ટ આવે ત્યારે જ સાચી હકીકત બહાર આવશે.
ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાંથી વિડી વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. જે સિંહોના મૃતદેહ મળી આવ્યા છે તેની તેમાંથી એકની ઉંમર એક વર્ષ, એકની ઉંમર ત્રણથી પાંચ વર્ષ. જ્યારે ત્રીજા સિંહની ઉંમર પાંચથી સાત વર્ષની અંદાજવામાં આવે છે.
હવે ત્રણેય સિંહોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને શા કારણે આ ત્રણેય સિંહોનાં મોત થયા તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના સ્ટાફને જ્યાંથી સિંહોના મૃતદેહો મળી આવ્યા છે ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે પ્રાથમિક દ્રષ્ટએ આ ત્રણેય સિંહોના મોત કુદરતી રીતે હોવાનું માનવામા આવી રહ્યુ છે કે ત્યારે સમગ્ર હકિકત તો પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.