સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

મોરબીના આમરણ - બગથળા પંથકમાં નહીવત વરસાદ : દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગણી

મોરબી તા. ૨૦ જીલ્લા પંચાયતની બગથળા તેમજ આમરણ બેઠકમાં આવતા ગામોમાં ચાલુ વર્ષે નહીવત વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે આ બે બેઠકો હેઠળના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા પંચાયતની બગથળા બેઠકના સદસ્ય અમુભાઈ રાણાભાઇ હુંબલ તેમજ આમરણ બેઠકના સદસ્ય નિર્મળાબેન ભીખુભાઈ મઠીયાએ કરેલી રજૂઆતને પગલે જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ચોમાસામાં બગથળા બેઠકના ગામો જેવા કે બગથળા બરવાળા કાંતિપુર, કેરાલી, ખાનપર સહિતના ગામોમાં નહીવત વરસાદ થયો છે અને આ બિન પિયત વિસ્તારમાં કુલ વરસાદના ૧૦ થી ૧૫ ટકા જ વરસાદ થયો છે જેથી તમામ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. જયારે આમરણ પંથકમાં પણ વિકટ પરિસ્થિતિનો ચિતાર આપતા સદસ્યે જણાવ્યું છે કે આમરણ બેઠકના આમરણ, બેલા, ડાયમંડનગર, ખારેચીયા અને જીવાપર, ધૂળકોટ સહિતના ગામોમાં પણ નહીવત વરસાદ પડ્યો છે.

જેથી હવે જો પાકને પાણી ના મળે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ સકે છે જેથી આ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પશુધનને બચાવવા ઘાસડેપો શરુ કરવામાં આવે તેમજ લોકોને રોજીરોટી મળે, પીવાના પાણી સહિતની જરૂરિયાતો સંતોષવા તાકીદના પગલા લેવામાં આવે અને ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાકવીમો લીધો હોય જેને સર્વે કરાવીને પાકવીમો ચૂકવી દેવાની માંગ કરી છે.

(1:49 pm IST)