શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘ અમરેલીમાં
૧૧ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા : પરસોત્તમભાઇ રૂપાલા ઉપસ્થિત રહેશે : દિલીપભાઇ સંઘાણીની આગેવાનીમાં તૈયારી
અમરેલી તા. ૨૦ : અમરેલીમાં તા. ૨૨ના કેન્દ્ર સરકારના બે–બે મંત્રીશ્રીઓનું આગમન થવાનું હોય જિલ્લાના વહીવટી તંત્રમાં ગતીશીલતા આવી ગઇ છે.
છેલ્લા કેટલાક સમયથી ભારતભરમાં સૌ પ્રથમ દેશના વરીષ્ઠ સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી દ્વારા જિલ્લાની મોટાભાગની મુખ્ય સહકારી સંસ્થાઓનો ખર્ચ બચાવવા માટે તમામ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા એક સાથે યોજવામાં આવે છે.
આ વખતે ૨૨મીએ અમરેલીના ખેડુત તાલીમ ભવનમાં યોજાનારી આ સાધારણ સભામાં જિલ્લા બેન્ક, અમર ડેરી, જિલ્લા સંઘ સહીત કુલ ૧૧ સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે.
જેમા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘ અને પરસોતમભાઇ રૂપાલા ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળેલ છે.
આ આયોજનને લઇને સંસ્થાઓ દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે તથા કેન્દ્ર સરકારના ગૃહમંત્રીશ્રીના આગમનને લઇને જિલ્લાના વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.