માળિયાના શેરીયાખાણ ગામે કોસથી દરવાજા તોડી મકાનમાંથી રૂ.૮પ હજારની ચોરી
દિવસે ખાબકીને તસ્કરોનો તરખાટ
જુનાગઢ તા. ર૦ : માળિયાના શેરીયાખાણ ગામે તસ્કરો કોસથી દરવાજા તોડી મકાનમાંથી રૂ.૮પ હજારની માલમતા ચોરી જતા સનસનાટી મચી ગઇ હતી.
માળિયા હાટીના તાલુકાના શેરીયાખાણ ગામે રહેતા પટેલ ગીરધરભાઇ મણીલાલ ધુમલીયા ગઇ કાલે પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે સવારના ૮ થી સાંજના ૬-૪પ સુધી બંધ રહેલા બંધ મકાનના ડેલાની દિવાલ કુદી પ્રવેશેલા તસ્કરોએ બે રૂમના દરવાજા લોખંડની કોસ વડે તોડીને કબાટમાંથી હાથફેરો કર્યો હતો.
તસ્કરો ગીરધરભાઇના મકાનમાંથી સોનાના પાટલા, ચેન, વીંટી અને લોકેટ ઉપરાંત રૂ.૧૦,૦૦૦ ની રોકડ રકમ મળી કુલ રૂ.૮પ હજારની કિંમતના મુદામાલનો હાથફેરો કરીને નાશી ગયા હતા.
સાંજે પરિવાર ઘરે પરત આવતા અને મકાનમાં ચોરી થયાનું માલુમ પડતા પરિવારજનોના હોશકોશ ઉડી ગયા હતા પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.