સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

વિજયભાઇ કચ્‍છને અછતગ્રસ્‍ત જાહેર કરશે ? ભુજમાં સમીક્ષા બેઠક

નથી ઘાસ... નથી પાણી... ભુખ્‍યા પશુઓના ભાંભરડા સાંભળજો - અભયદાન આપજો : પાંજરાપોળના સંચાલકોની રજૂઆત

ભુજ તા. ૨૦ : રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે કચ્‍છની એક દિવસની મુલાકાત આવી રહયા છે. મુખ્‍યમંત્રીશ્રી રૂપાણી બપોરે ૧૪.૩૫ કલાકે ભુજ એરપોર્ટ ખાતે આવીને કલેકટર કચેરીના કોન્‍ફરન્‍સ હોલ ખાતે ૧૪.૪૫ કલાકે બેઠક બાદ સાંજે ૧૭ કલાકે ભુજ એરપોર્ટથી પ્રસ્‍થાન કરશે.

મુંદરા તાલુકા મામલતદારને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર ગુરુવારે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આપવા મામલતદારશ્રી ને વિનંતી કરાઈ છે. આવેદનપત્રની નકલ મુંદરા પ્રાંત અધિકારી તેમ જ જિલ્લા કલેકટર ને પણ મોકલાઈ છે.આ આવેદનપત્ર માં જણાવાયું છે કે થોડા વરસાદ ને કારણે મુંદરા તાલુકાને અછત ની પરિસ્‍થિતિમાંથી બાકાત કરાયો હોઈ પશુઓની હાલત ભારે કફોડી થઈ છે.

સમગ્ર કચ્‍છની જેમ જ મુંદરા મા અપૂરતો અને ઓછો વરસાદ છે. ઘાસ કયાંયે ઉગ્‍યું નથી, ઘાસ ક્‍યાંય થી મળતું નથી, એવી જ કફોડી હાલત પીવા ના પાણી ની છે. અત્‍યારે મુંદરા તાલુકાની ૧૦ પાંજરાપોળ માં ૨૦ હજાર જેટલા મૂંગા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. ઘાસચારા ના અભાવે પશુઓ ના મરણ થઈ રહ્યા છે. ભૂખ્‍યા તરસ્‍યા પશુઓ ના ભાંભરડા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંભળે અને અછત જાહેર કરી રાજય સરકાર પાંજરાપોળ ગૌશાળાઓ માટે ખાસ સબસીડી ની જાહેરાત કરે. રાહતદરે અપાતું સૂકું ઘાસ દરરોજ નિયમિત પૂરું પાડે. તેમ જ પીવાનું પાણી મળી રહે તેવી વ્‍યવસ્‍થા તાત્‍કાલિક ગોઠવે તે જરૂરી છે.

સરકાર વિના વિલંબે અછત જાહેર કરી ભૂખે મરતા પશુઓને બચાવી અભયદાન આપે તેવી રજુઆત પણ કરાઈ છે. મુંદરા મામલતદાર ને કરાયેલ લેખિત અને મૌખિક રજુઆત દ્વારા નવીન મહેતા, હરિલાલ દેઢીયા, સ્‍વરૂપસિંહ જાડેજા, રાહુલ સાવલા, ખુશાલભાઈએ પાંજરાપોળ સંગઠનની માંગણી મુખ્‍યમંત્રીશ્રી ને પહોંચાડવા વિનંતી કરાઈ હતી. મુંદરા તાલુકા માં મૂંગા પશુઓને બચાવવા તાત્‍કાલિક અસર થી કચ્‍છ જિલ્લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા પણ મુખ્‍યમંત્રીશ્રી ને વિનંતિ કરાઈ છે.

આ આવેદનપત્ર (૧) કચ્‍છ મુંદરા પાંજરાપોળ અને ગૌશાળા (૨) ગુંદાલા પાંજરાપોળ (૩) વર્ધમાન જીવદયા કેન્‍દ્ર,લુણી (૪) ભગવાન મહાવીર પશુરક્ષા કેન્‍દ્ર, પ્રાગપૂર (૫) ભુજપુર પાંગળાપોળ (૬) કાંડાગરા પાંજરાપોળ (૭) છસરા પાંજરાપોળ (૮) રતાડીયા પાંજરાપોળ (૯) પત્રી પાંજરાપોળ અને (૧૦) વડાલા પાંજરોપોળ દ્વારા અપાયું છે.

(10:51 am IST)