વાંકાનેર પાસેના રાજાવડલા રોડ બીસ્માર-નવો બનાવવા શિવસેનાની માંગણી
(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ર૦: રાજાવડલા ગામે જવાનો મુખ્ય રોડ અતી ખરાબ હાલતમાં મુકાઇ ગયો છે. તાકીદે નવો બનાવવા શિવસેનાના પ્રમુખ મયુરભાઇ ઠાકોર અને મેહુલભાઇ ઠાકોરે મોરબી જીલ્લા કલેકટરને પત્ર પાઠવી આ રોડ નવો બનાવવા માંગણી કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે રાજાવડલા રોડ ઉપર પ્રસિધ્ધ મેલડી માતાજીનું મંદીર આવેલ છે. અહી મોટી સંખ્યામાં ભાવીકો પગપાળા અને વાહનો મારફત દર્શન કરવા પધારે છે. આ રોડ પરથી જ રાજાવડલાના ગ્રામજનો અને અંધ-અપંગ ગૌશાળા પણ આવેલી છે. પ્રાઇવેટ સ્કુલ પણ છે. તેથી દરરોજ હજારો લોકોની અવર જવર છે. આ રોડ ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાઓ વરસાદી પાણીથી ભરાઇ ગયા છે. તેથી નાના-મોટા અકસ્માતો પણ થાય છે. મેલડી માતાજીના દર્શને આવતા ભાવીકો પણ તોબા પોકારી જાય છે.