સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

રાજયમાં સાગરપુત્રો અને ધરતીપુત્રોને રાજય સરકાર દ્વારા અન્યાયઃ વિક્રમભાઇ માડમે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા

જામનગર, તા., ૨૦: ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવ્યું છે કે રાજયના બે પનોતા પુત્રો એક સાગર પુત્ર (માચ્છીમાર) અને બીજા ધરતીપુત્ર (ખેડુત) છે તેઓ રાજય સરકારના પનોતા (વ્હાલા) પુત્ર હોવા છતાં કેવી કેવી અવદશા (મુશ્કેલ પરીસ્થિતિમાં જીવી રહયા છે. જામનગર અને દેવભુમી દ્વારકા વિસ્તારમાં વિશાળ દરીયા કિનારો છે. આ બન્ને જિલ્લાઓમાં ફિશરીઝનો ઉદ્યોગ ચાલે છે. આ બહુ મોટો ઉદ્યોગ છે. એમા નાની બોટોને કેન્દ્ર સરકાર તરફથી રેશનકાર્ડ ઉપર જે ૩૦૦ લીટર કેરોસીન મળતું હતુ એ છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. જો એ લોકોને આ સુવિધા આપવામાં આવશે તો એ લોકો માચ્છીમારી કરીને સારૂ એવુ વિદેશી હુંડીયામણ આપણા દેશમાં લાવશે. ત્યાં જે નાના બંદરો છે જેવા કે હર્ષદ, ઘોઘા, કોડીનાર, રૂપેણ તથા વર્ષોથી માછીમારો રહે છે. ગઇકાલે વાત થઇ કે જો એ લોકો ૩૦ વર્ષથી રહેતા હોય તો તેમને રેગ્યુલાઇઝ કરી દેવા જોઇએ. નાની બોટોને ટ્રાન્સફર માટે વેરાવળ જવુ પડે છે.

જામનગરમાં આ સુવિધા હતી હવે લોકોને વેરાવળ જવુ પડે છે તો એમા એમને એક વર્ષ જેવો સમય થાય છે અને એ એક વર્ષ સુધી તેઓ પોતાનો બિઝનેસ ચાલુ નથી કરી શકતા. ફાયબર બોટોના લાયસન્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી એ કરી દેવામાં આવે. છેલ્લા વીસ વર્ષથી જામનગર અને દેવભુમી દ્વારકાની અંદર એક પણ જેટી બનાવવામાં આવી નથી. એના કારણ કે એમને પ્રાઇવેટ જેટીમાં જવુ પડે છે અને એના ટેક્ષ ચુકવવા પડે છે. દરીયાઇ તોફાનમાં વરસાદથી જે નુકશાન થાય છે એમા સરકારી સહાય થવી જોઇએ. એની પ્રક્રિયા ખુબ જટીલ છે. જે લોકો મૃત્યુ પામે છે એની પ્રક્રિયા પણ એટલી જ જટીલ છે જેના હિસાબે યોગ્ય લોકોને એનું વળતર મળતું નથી.આવા લોકોનું જયારે મૃત્યુ થાય છે ત્યારે એની નોંધ લેવામાં આવતી નથી અને એમને કોઇ પણ જાતનું વળતર મળતું નથી. એ લોકોને વળતર મળવુ જોઇએ એવી મારી માંગણી છે. ખેતીના પ્રશ્નો પણ છે. બેટ અને દ્વારકા બંન્ને એવી જગ્યા છે કે આખા દેશમાંથી લોકો ત્યાં યાત્રાએ આવે છે. કાલે જે જોડીયાનો પ્રશ્ન હતો એમાં હુ બોલવા માટે એટલા માટે પ્રયત્ન કરતો હતો કે એ બહુ સારો પ્લાન છે. એને કોઇ રાજકીય ટીકા-ટિપ્પણીમાં નથી લેવાનો. પાણીની સમસ્યા છે એ એવી સમસ્યા છે કે આવનારા દિવસોમાં પાણીની એક એક બુંદ માટે લડાઇ થવાની છે. ત્યારે આવો પ્લાન્ટ દેવભુમી દ્વારકામાં પણ નાખવામાં આવે એ જરૂરી છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ પેપરમાં આવે છે કે દ્વારકા અને બેટ દ્વારકાને મહિનામાં એેક દિવસ પાણી મળે છે. આ વિસ્તાર એકદમ દરીયામાં આવેલ છે અને આખા દેશમાંથી યાત્રાળુઓ આવે છે ત્યારે આ પરિસ્થિતિ છે. દેવભુમી દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકા મંદિર આવેલ છે. સન ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮ માં પંદર પંદર દિવસે પાણી મળતું હતું જે તે સમયે માનનીય સભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ પ્રયત્નો કર્યા હતા. એમણે ઓર્ડર કર્યો હતો કે આઠ દિવસે દ્વારકા જેવા શહેરને પાણી મળતું તો એની શું પરિસ્થિતિ થતી હશે. માચ્છીમારોના ઘણા પ્રશ્નો છે. ખેડુતોના પણ ઘણા પ્રશ્નો છે.

દેવભુમી દ્વારકા જિલ્લાના ખેડુતોને સન ર૦૧૮-૧૯ના વર્ષનો પાક વિમો મળવો જોઇએ એ હજી મળ્યો નથી એના લીધે ખેડુતો ચિંતા કરી રહયા છે. સન ર૦રર સુધીમાં ખેડુતોની આવક ડબલ કરવાની વાત કરી રહયા છીએ એ કઇ રીતે થશે એની વાત મને સમજાવવામાં આવે તો આનંદ થશે. ખેતીની સાથે પશુપાલનનો ધંધો પણ સંકળાયેલો છે. જે સાલ દુષ્કાળની પરિસ્થિતિ હોય છે ત્યારે ખેડુતો પશુપાલન ઉપર નભતા હોય છે. દેવભુમી દ્વારકામાં આજની તારીખે વાવણી થઇ નથી. વાયુ વાવાઝોડુ થયું એમાં એકાદ ઇંચ જેટલો વરસાદ થયો હતો. ત્યારે ખેડુતોએ વાવણી કરી દીધા પરંતુ પછી વરસાદ ન આવતા ખેડુતોનું બિયારણ સાફ થઇ ગયું છે. જામનગર જિલ્લો અને દેવભુમી દ્વારા જિલ્લાની કાયમી આવી જ પરિસ્થિતિ હોય છે. આ વિસ્તારને પાણી પુરૂ પાડતો સાની ડેમ આ વર્ષે જાન્યુઆરીમાં તોડી નાખવાનો છે અને એ એક વર્ષમાં બની જવાની વાત કરી રહયા છે. પરંતુ આવડો મોટો ડેમ એક વર્ષમાં ન ની શકે હું જમીની માણસ છું એટલે મને ખબર પડે કે આવડો મોટો ડેમ એક વર્ષમાં ન બની શકે. એટલે અત્યારથી પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કરવાની ખાસ જરુર છ. અત્યારે વરસાદ રૂઠયો છે. કુદરત મહેરબાન નથી અને જયારે સારૂ ચોમાસું હોય ત્યારે પણ જાન્યુઆરી પછી પીવાના પાણીની તકલીફ પડતી હોય છે. અમારે ત્યાં એક માત્ર ડેમ આવેલો છે. ખેતીને નર્મદાનું પાણી મળતું હોય તો સારૂ હતુ પરંતુ અમારે ત્યાં તો પીવાના પાણીની પણ તકલીફ છે ત્યારે નર્મદાના પાણીની કે ખેતી માટે કે પશુઓ માટે કેવી રીતે આશા રાખી શકાય. ખેડુતો પશુપાલન કરીને દુષ્કાળના વર્ષમાં પોતાનું ગુજરાન કરી લે છે પરંતુ આ પશુપાલનનો ધંધો બચી જાય એ જરૂરી છે. અત્યારે માણસોને જ પીવાનુ પાણી મળતું નથી. ત્યારે પશુઓની હાલત શું થતી હશે. પીવાના પાણીની અને ઘાસચારાની તકલીફ હોવાને લીધે ખેડુતો પોતાના ગાય, ભેંસો કે બળદોને રોડ ઉપર છોડી દેતા હોય છે.

જામ ખંભાળીયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં માછીમારો, સાગર પુત્રો, ખેડુતો, ધરતીપુત્રોની કેવી કેવી અવદશા (ખરાબ પરિસ્થિતિ)માં જીવન નિર્વાહ ચલાવી રહયા છે તે બાબત વિધાનસભામાં સંપુર્ણ વિગતવાર પાયાથી લઇને શીરની ચોટી સુધીની વિગતો સાગરપુત્રો તથા ધરતી પુત્રોના હિતમાં રજુ સરકારશ્રી સમક્ષ ચાલુ વિધાનસભાના સત્ર દરમ્યાન કરવામાં આવેલ છે.

(1:19 pm IST)