સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th July 2019

સર્વોચ્ચ ન્યાયાલયમાં પ૮,૬૬૯ દાવાઓ અનિર્ણિત, જયારે દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં ૪૩.પપ લાખ દાવાઓ અનિર્ણિત

કાયદા અને ન્યાય મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલભાઇ નથવાણીને પ્રત્યુત્તર

જામનગર, તા. ૧૯ :  જુન ૧, ર૦૦૯ની સ્થિતિએ કુલ પ૮,૬૬૯ દાવાઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં અનિર્ણિત છે. જયારે દેશના વિવિધ ઉચ્ચ ન્યાયલયોમાં ૪૩.પપ લાખ દાવાઓ અનિર્ણિત છે. આ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓ પૈકી ૮.૩પ લાખ દાવાઓ ૧૦ વર્ષ કરતા વધુ સમયથી અનિર્ણિત છે. જયારે ૮.૪૪ લાખ દાવાઓ પ થી ૧૦ વર્ષ જેટલા સમયથી અનિર્ણત છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંચાર અને ઇલેકટ્રોનિકસ એન્ડ ટેકનોલોજી ઇન્ફોર્મેશન મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદશ્રી પરિમલભાઇ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નેશનલ જયુડિશિયલ ડેટા ગ્રીડ (NIDG)માં ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓમાં ૧ ૮.૭પ લાખ દીવાની દાવાઓ છે. જયારે ૧ર.૧પ લાખ ફોજદારી દાવાઓ છે અને ૧ર.૬પ લાખ અદાલતી અરજીઓ (રીટ પીટીશનો) છે. ઉપલબ્ધ માહિતી મુજબ ર૬.૭૬ લાખ દાવાઓ ઉચ્ચ ન્યાયાલયોમાં પાંચ વર્ષથી ઓછા સમયથી અનિર્ણિત છે. ૮.૪૪ લાખ દાવાઓ પાંચ વર્ષથી વધુ સમય અને ૧૦ વર્ષ કરતા ઓછા સમયથી અનિર્ણિત છે. જયારે ૮.૩પ લાખ દાવાઓ ૧૦ વર્ષ કરતા વધુ સમયથી અનિર્ણિત છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીના જવાબ મુજબ પાંચ વર્ષથી વધુ સમય માટેના કેસોનો નિકાલ કરવા માટે હાઇકોર્ટોમાં એરીયર્સ કમીટીની સ્થાપના કરવામાં આવી છે. હાઇકોર્ટો અને જિલ્લા અદાલતોમાં કેસોના ભારણને ઘટાડવા માટે પગલા તૈયાર કરવા સુપ્રીમ કોર્ટમાં એરિયર્સ કમીટીની રચના કરવામાં આવી છે. હાલમાં પ૮૧ ફાસ્ટ ટ્રેક કોર્ટો સમગ્ર દેશમાં કાર્યરત છે અને સાંસદો, ધારાસભ્યોની સંડોવણી ધરાવતા ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે રાજયોમાં ૧ર વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે.

શ્રી પરિમલભાઇ નથવાણી જાણવા માંગતા હતા કે દીવાની અને ફોજદારી બન્ને મળીને કુલ કેટલા દાવાઓ સર્વોચ્ચ ન્યાયાલય તેમજ દેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાાં અનિર્ણિત છે, તેમજ આ દાવાઓમાં કેટલા પાંચ વર્ષથી ઓછા સમય, પાંચ વર્ષથી વધુ પરંતુ દસ વર્ષથી ઓછા, તેમજ દસ વર્ષથી વધુ સમયથી અદાલતોમાં અનિર્ણીત છે. તેમજ સરકારશ્રી દ્વારા દાવાઓના ઝડપી નિકાલ માટે કયાં પગલાઓ લેવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્થાપિત નેશનલ મીશન ફોર જસ્ટિસ ડીલીવરી એન્ડ લીગલ રીફોર્મ્સએ ન્યાયીક વહીવટમાં બાકી અને અનિર્ણિત કેસોના તબકકાવાર નિકાલ માટે સમન્વયિત અભિગમ અપનાવ્યો છે, જેમાં વિવિધ વ્યુહાત્મક પહેલોનો સમાવેશ થાય છે, જેમ કે અદાલતોની માળખાકીય સુવિધાઓમાં વધારો, બહેતર ન્યાય વિતરણ માટે માહિતી અને સંચાર તકનીક (ICT) લાભ મેળવવો, તેમજ ઉચ્ચ ન્યાયાલયનો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં જજનોની ખાલી જગ્યાઓ ભરવી.

મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર, ન્યાયતંત્ર માટે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો પ્રારંભ  ૧૯૯૩-૯૪માં કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત રૂ. ૬૯૮૬.૫૦ કોરડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી સન ૨૦૧૪ પછી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ.૩.૫૪૨.૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

છેલ્લા ૫ વર્ષમાં કોર્ટે હોલની સંખ્યા ૧૫,૮૧૮ થી વધીને ૧૯,૧૦૧ થઇ છે. અને નિવાસી એકમોની સંખ્યા ૧૦,૨૧૧ થી વધીને ૧૬,૭૭૭ થઇ છે. આ ઉપરાંત ૨,૮૭૯ કોટે હોલ અને ૧,૮૮૬ નિવાસી એકમો બાંધકામ હેઠળ છે. કેન્દ્ર સરકારે  ૦૧.૦૪.૨૦૧૭ થી ૩૧.૦૩.૨૦૨૦ સુધી ૧૨મી પંચવર્ષીય યોજનાના સમયગાળા પછી અંદાજીત  રૂ. ૩,૩૨૦ કરોડના વધારાના ખર્ચ સાથે યોજના ચાલુ રાખવાની મંજુરી આપી છે.

મંત્રીશ્રીએ સદનમાં રજૂ કરેલા નિવેદન અનુસાર વધુ સારી રીતે ન્યાય કરી શકાય તે માટે માહિતી અને સંચાર ટેકનિક (આઇસીટી)નો ઉપયોગ કરીને સરકાર દેશભરમાં ઈકોર્ટસ મિશન મોડ પ્રોજેકટના અમલીકરણ થકી જિલ્લા અને પેટા અદાલતોમાં માહિતી  અને સંચાર ટેકનિકનું અમલીકરણ કરી રહી છે. કોમ્પ્યુટરાઇઝડ જિલ્લા અને પેટા અદાલતોની સંખ્યા ૧૩,૬૭૨ થી વધીને ૧૬,૮૪૫ થઇ ગઇ છે. જે ૨૦૧૪ થી આજ દિન સુધીમાં  ૩,૧૭૩નો  વધારો દર્શાવે છે.

ઈકોર્ટસ સેવાઓ જેમ કે રજિસ્ટ્રેશનની માહિતી , કારણ સૂચિ કેસની સ્થિતી દૈનિક આદેશો અને અંતિમ ચુકાદાઓ ઈ કોર્ટસ વેબ પોર્ટલ મારફતે અરજદારો અને વકિલો માટે ઉપલબ્ધ છે. તમામ કમ્પ્યુટરાઇઝડ કોર્ટમાં ન્યાયીક સેવા કેન્દ્રો , જેએસસી, ઈકોર્ટસ  મોબાઇલ એપ્લીકેશન , ઈ મેઇલ સેવા, એસએમએસ મોકલવા અને મેળવવા માટેની સેવાઓ ઉપલબ્ધ છે.  એમ નિવેદનમાં જણાવ્યુ હતુ.  વકિલો અને અરજદારોને સંબંધિત સૂચિ અને કેસ સંબંધિત ન્યાયીક માહિતી પ્રચાર કરવા માટે તમામ કમ્પ્યુટરાઇઝડ કોર્ટ કોમ્પ્લેકસ  પર માહિતી  કિઓકસની રચના કરવામાં આવી છે. ઈકોર્ટસ પ્રોજેકટ  સતત દેશના ટોચના ૫ મિશન મોડ પ્રોજેકટસમાં રહ્યો છે. એમ નિવેદનમાં જણાવ્યુ હતુ.

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ અને જિલ્લા તથા પેટા અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવાના હેતુથી છેલ્લા પાંચ વર્ષોમાં સુપ્રીમ કોર્ટમાં ૩૧ ન્યાયાધીશોની નિમણુંક કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ૪૫૪ નવા ન્યાયાધીશોની નિમણુંક કરવામાં આવી હતી. અને ૩૬૬ વધારાના ન્યાયમુર્તિઓને કાયમી કરાયા હતા. એમ મંત્રીશ્રીેએ તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે છેલ્લા ૫ વર્ષમાં હાઇકોર્ટના ન્યાયાધીશોની મંજુર કરાયેલી સંખ્યા ૯૦૬ થી વધારીને ૧૦૭૯ અને જિલ્લા અને પેટા અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની સંખ્યા ૧૯,૫૧૮ થી વધારીને ૨૧,૩૪૦ અને કાર્યકારી ક્ષમતા ૧૫,૧૧૫ થી વધારીને ૧૭,૭૫૭ કરવામાં આવી છે.

(4:03 pm IST)