સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th June 2021

કચ્છના રાપર નજીક વરસાદી માહોલને લઇને એસ.ટી. બસ જીપ વચ્ચે અકસ્માત

જીપ ચાલકનું કરૂણ મોત : રપ લોકો ઇજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

ભુજ : વરસાદી માહોલમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ રસ્તાઓ પણ ભીના થવાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે આવી જ એક ઘટના કચ્છના રાપર નજીક ઘટના હતી. અહીં એક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 25થી 30 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને અલગ અલગ 108 અને અલગ અલગ વાહનો મારફરે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના રાપર નજીક ભુજ રાપર રૂટની એસટી બસ આજે શનિવારે સવારે 06 ભુજથી ઉપડ્યા બાદ રાપરથી 07 કિલોમીટર દુર નિલપર બદરગઢ હાઇવે પર બોલેરો જીપ સાથે અથડાઇ હતી જેમાં જીપના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જીપમાં 30 મજુરો બેઠેલા હતા. જે પૈકી 25થી વધારે મજુરોને સરકારી દવાખાને સેવાભાવી લોકો દ્વારા વાહન દ્વારા ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાકની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે.

ઘટના અંગે એસટી બસમાં મુસાફરોની સંખ્યા ઓછી કરવા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે બસમાં સવાર આશરે 4થી 5 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. જે તમામ લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ઘટના અંગે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

(12:38 pm IST)