માથાના દુઃખાવાથી કંટાળી જસદણની અલ્કાબેન શાપરાનો સળગીને આપઘાત
કોળી મહિલાએ રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાન મા વિહોણા
રાજકોટ તા. ૨૦: જસદણના પોલારપર રોડ પર શકિતનગરમાં રહેતી અલ્કાબેન અશ્વિનભાઇ શાપરા (ઉ.૩૫) નામની કોળી મહિલાએ માથાના દુઃખાવાથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
અલ્કાબેને ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં જસદણ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત રાત્રે તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી જસદણ જાણ કરી હતી.
આપઘાત કરનાર અલ્કાબેનના માવતર પણ જસદણમાં રહે છે. લગ્ન અઢાર વર્ષ પહેલા થયા હતાં. પતિ કડીયા કામની મજૂરી કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. જુના માથાના દુઃખાવાથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું.