કચ્છની નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં પાણી નહીં મળેઃ બેદરકારી દાખવી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ
ભુજ, તા.૨૦: કચ્છ આવતી નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું છે.
કચ્છના પ્રવેશદ્વાર એવા સુરજબારી પાસે પડેલા આ ભંગાણને કારણે ત્રણ દિવસ સુધી કચ્છની નર્મદાના પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે એવું ગુજરાત વોટર વર્કસના સીનીયર મેનેજર સી.બી. ઝાલાએ જણાવ્યું છે. જોકે, સત્તાવાર રીતે ૨૩૦ એમએલડી પાણી નહીં મળે તેવું જાણવા મળે છે. પણ, કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેમણે સુરજબારી પાસે નર્મદાના પાણીની એકસપ્રેસ લાઈન તૂટી હોવાની વહીવટીતંત્રને જાણ કરીને અગાઉ થી જ તૂટેલી લાઈનનું સમારકામ કરવા જણાવ્યું હતું પણ કચ્છનું વહીવટીતંત્ર ઉદાસીન રહ્યું પરિણામે કચ્છમાં પીવાના પાણીની કટોકટી સર્જાવાની ભીતી છે. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ 'અકિલા' સાથેની વાતચીત દરમિયાન લોકોને નડનારી પીવાના પાણીની સમસ્યા પ્રત્યે તંત્રની અને અધિકારીઓની બેદરકારીભરી નીતિ ની આકરી ઝાટકણી કાઢી છે.