જુનાગઢ જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતોના ભાજપના ઉમેદવારે ફોર્મ ન ભરતા કોંગ્રેસનો કબ્જો
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦: સને-ર૦૧પમાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાયેલ હતી. તેની અઢી વર્ષની મુદત પુર્ણ થતા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની તા. ર૦-૬-ર૦૧૮નાં રોજ ચુંટણીની તારીખ જાહેર થયેલ, તેમાં તા. ૧૯-૬-ર૦૧૮નાં રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોને પ્રમુખ અને ઉપપ્રમુખનાં ફોર્મ ભરવાની તારીખો હતી.
ફોર્મ ભરવાનાં દિવસે જ જુનાગઢની જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભારતીય જનતા પાર્ટીનાં કોઇ જ ફોર્મ રજુ ન થતા, જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે સેજાભાઇ વિરાભાઇ કરમટા અને ઉપપ્રમખુત તરીકે ઉમાબેન પ્રવિણભાઇ ચાવડા બીનહરીફ જાહેર થયેલ છે તેવું જુનાગઢ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખશ્રી હર્ષદભાઇ રીબડીયાએ જણોલ છે. વધુમાં તેમણે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીએ જુનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતો મેળવવા મરણીયા પ્રયાસો કરેલ છે. છતાં પણ જુનાગઢની વંથલી, માણાવદર, જુનાગઢ, વિસાવદર, માંગરોળ, ભેંસાણ એમ કુલ-૬ તાલુકા પંચાયતો શ્રી કિશાન પ્રદેશ કોંગ્રસ અગ્રણી અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઇ રીબડીયાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ જુનાગઢ જિલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતો મેળવવામાં સફળ રહેલ છે. ૬ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનાં કોઇપણ ઉમેદવારોએ ફોર્મ ભરવાની હિમ્મત જ ન કરી, જેનાં કારણે કોંગ્રેસ પક્ષ તરફી જુનાગઢ જિલ્લા પંચાયત સહિત ૬ તાલુકા પંચાયતો બીનહરીફ થયેલ છે. તેવું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષદભાઇ રીબડીયાની યાદીમાં જણાવેલ છે. (૭.ર૬)