કુતિયાણા તા.પં.માં ભાજપમાંથી બળવાના એંધાણ
તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાણે ભાજપના ભરતભાઈ પરમાર કોંગ્રેસના ૩ સભ્યોને લઈ અજ્ઞાતવાસમાં ? : ભાજપના ભીમાભાઈ મોઢા દ્વારા ૮ સભ્યોનો ટેકો હોવાનો દાવોઃ બીજી ટર્મમાં ભાજપના શાસન અંગે તર્કવિતર્કો
પોરબંદર, તા. ૨૦ :. કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાણે ભાજપમાંથી બળવાના એંધાણ વર્તાય રહ્યા છે. ભાજપના ભરતભાઈ પરમાર અને ભીમાભાઈ મોઢા બન્ને ચૂંટણીને લઈ સામસામે આવી ગયેલ છે.
ભાજપના ભરતભાઈ પરમાર કોંગ્રેસના ૩ સભ્યોને લઈ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયાની ચર્ચા છે. જ્યારે ભાજપના ભીમાભાઈ મોઢાએ પોતાને ૮ સભ્યોને ટેકો હોવાનો દાવો કરી રહેલ છે.
કોંગ્રેસ દ્વારા તેના ચૂંટાયેલા સભ્યોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા તથા ટેકો નહી આપવા વ્હીપ અપાય છે. હાલ કુતિયાણા તાલુકા પંચાયતમાં ભાજપના ૧૧ ચૂંટાયેલા સભ્યો છે. કોેંગ્રેસ પાસે ત્રણ ચૂંટાયેલા સભ્યો છે જ્યારે અગાઉ કોંગ્રેસ અને ભાજપના ૧ - ૧ સભ્યોને સસ્પેન્ડ કરેલ હોય બન્ને જગ્યા ખાલી છે. તાલુકા પંચાયતમાં કુલ ૧૬ સભ્યો છે.