ઉપલેટાના વરજાંગજારીયાની ભારતીબેનનું સિઝેરીયન બાદ મોતઃ ત્રણ પુત્રી મા વિહોણી
ત્રણ જુદા જુદા દવાખાના બદલાવ્યાઃ રાજકોટમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૨૦: ઉપલેટાના વરજાંગજારીયા ગામની પરિણિતા ભારતીબેન ભરત મસાલીયા (કોળી) (ઉ.૨૯)એ ગત ૧૨મીએ સિઝેરીયન દ્વારા દિકરીને જન્મ આપ્યા બાદ તબિયત બગડી હતી. ત્રણ દવાખાના બદલાવ્યા બાદ રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો. નવજાત દિકરી સહિત ત્રણ દિકરીઓ મા વિહોણી થઇ જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.ભારતીબેનને સારા દિવસો જઇ રહ્યા હોઇ ગત ૧૨મીએ ઉપલેટામાં સિઝેરીયનથી દિકરીનો જન્મ થયો હતો. એ પછી રજા અપાઇ હતી. પરંતુ તબિયત બગડતાં ઉપલેટા, જુનાગઢના જુદા જુદા દવાખાનામાં સારવાર અપાવાઇ હતી. છેલ્લે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગઇકાલે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી. મૃતકના માવતર જામકંડોરણા રહે છે. પતિ ભરત ગાંડાભાઇ છુટક મજૂરી કરે છે.