હત્યા કરનારા શખ્સોને કડક સજા કરોઃ જૂનાગઢ લોહાણા સમાજ દ્વારા પોલીસ વડાને આવેદન
રાજકોટ તા. ર૦ :. જુનાગઢમાં શનીવારે સાંજે લોઢીયાવાડી નજીક ખાનગી બેન્કના કર્મચારી ચિરાગ અશોકભાઇ વિઠ્ઠલાણી અને તેના ભાઇ હાર્દિક અશોકભાઇ ઉપર જીવલેણ હુમલો કરતા હાર્દિકનું મોત થયુ હતુ જયારે ચિરાગ હાલ રાજકોટ સારવારમાં ખસેડેલ છે.
આ ઘટના બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહ સંભાળવામાં આવ્યો ન હતો. આજે ત્રીજા દિવસે પણ બપોર સુધી મૃતદેહ સ્વીકારવામાં ન આવતા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘને લોહાણા સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ભાજપ અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન પ્રદીપભાઈ ખીમાણી સહિતતના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. જેમાં જણાવાયુ હતુ કે, હાર્દિક વિઠ્ઠલાણીની હત્યા કરનાર શખ્સોને ઝડપી લઈને કડક સજા કરવામાં આવે અને વિઠ્ઠલાણી પરિવારને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘે સાંજ સુધીમાં આરોપીઓને ઝડપી લેવા ખાત્રી આપી હતી જેથી હાર્દિક વિઠ્ઠલાણીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો.