સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

આટકોટ સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો

દાતાઓનું સન્માન - ૨૦ વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમમાં સંતો - હરિભકતો ઉમટ્યા

તસ્વીરમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં સંતો - હરિભકતો નજરે પડે છે. (તસ્વીર : વિજય વસાણી, આટકોટ)

 આટકોટ તા. ૨૦ : જસદણના આટકોટ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરના ૨૦ વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આટકોટથી ૫ કી.મી. દુર આવેલ પાંચવડા અને ત્યાંથી ૫ કી.મી.ના અંતરે આવેલ જીવાપર ગામે સ્વામિનારાયણમાં નવલા નિર્માણાધીન પાંચ શિખરના બન્ને મંદિરોનું વડતાલના પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રીરાકેશપ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન આટકોટ સ્વામિનારાયણ મંદિરના સદગુરુ શ્રીસંતસ્વામી તેમજ સત્સંગી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દ્વિશતાબ્દી મહોત્સવનો લાભ લેવા આટકોટ સહિતના આજુબાજુના ગામોમાંથી હજારો ભાવિકભકતો ઉમટી પડ્યા હતા. દ્વિશતાબ્દી મહોત્સવના અંતિમ દિવસે સંતો દ્વારા દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ દ્વિશતાબ્દી મહોત્સવ સત્સંગના અવનવા આયોજનોથી સભર બની રહ્યો હતો. જેમાં ભવ્ય પોથીયાત્રા, દીપપ્રાગટ્ય, ઉત્સવ ઉદઘાટન, સમૂહ મહાપૂજા, દેવોનો દિવ્ય અભિષેક, પ્રભુજીને યજ્ઞોપવિત સંસ્કાર, ડ્રાયફ્રુટ અન્નકૂટ, અભિષેક, ફૂલદોતોત્સવ, સુર્વણતુલા, દાદાખાચરના અદભુત વિવાહ, રાસોત્સવ, અન્નકૂટ વગેરે ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વડીલ સંતોની વ્યાખ્યાનમાળાઓ દ્વારા પ્રભુભકતોને સત્સંગ આપવામાં આવ્યો હતો. યુવા સંતો દ્વારા પ્રેરણાદાયી મોક્ષોપયોગી કથા-વાર્તા કરવામાં આવી હતી અને અનેક ધામોમાંથી પધારેલા તપસ્વિની સાંખ્યયોગી માતાઓ દ્વારા મહિલામંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પુર્ણાહુતી વેળાએ અનેક સંતો ઉપસ્થિતિ

આટકોટ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં ધોરાજીધામથી સદગુરુ શ્રીમોહનપ્રસાદદાસજી સ્વામી, હરિકૃષ્ણધામથી સદગુરૂ શ્રી ભકિતહરિદાસજી સ્વામી, એપ્રોચ બાપુનગરથી સદગુરૂ શ્રીલક્ષ્મણજીવનદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી સહિત કુંડળ, વડતાલ, મુળી, ગઢપુર, જુનાગઢ, ધોલેરા સહિતના અનેક ધામોમાંથી સંતોએ પધરામણી કરી આ ઉત્સવને અનેરો ઉત્સાહ અપાવ્યો હતો. આ મહોત્સવમાં પ્રસિદ્ઘ કથાકાર પ.પૂ.સંતસ્વામીએ મંગલ પ્રવચન કરી ઉત્સવને હરિરસમાં સમર્પિત કર્યો હતો.

(4:18 pm IST)