અકસ્માતમાં મૃત્યુ પામતા
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રીને તેના માતા - પિતાએ આપી અંતિમ વિદાય
કેબીનેટ પ્રધાન જવાહર ચાવડા સહિત મહાનુભાવો, આગેવાનોની પરીને શ્રધ્ધાંજલિ
જૂનાગઢ તા. ૨૦ : અકસ્માતમાં મૃત્યુ પામેલી જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રીને આજે સવારે તેના માતા-પિતાએ અંતિમ વિદાય આપતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
કેબીનેટ પ્રધાન જવાહર ચાવડા સહિત મહાનુભાવો - આગેવાનો વગેરેએ માસુમ પરીને શ્રધ્ધાંજલી અર્પી હતી.
જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશીના પુત્ર મનોજભાઇ, પુત્રવધૂ આશાબેન, પૌત્રી પરી (ઉ.વ.૧૨) તેમજ દિકરી - જમાઇ વગેરે વેકેશનને લઇ કાર લઇને ફરવા ગયા હતા.
શનિવારે આંધ્રપ્રદેશના હૈદ્રાબાદથી ૭૦ કિમી દુર મનોજભાઇ જોશીની કારને ટ્રકે ઠોકર મારતા પરીનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું અન્યને ઇજા થઇ હતી.
ગઇકાલે માસુમ પરીનો મૃતદેહ જૂનાગઢ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આજે સવારે ગાંધીગ્રામ ખાતેના ઘરેથી પરીની અંતિમ યાત્રા નીકળી હતી. આ વેળાએ હૈયાફાટ કલ્પાંત વચ્ચે વ્હાલસોંયી પુત્રીને તેના પિતા મનોજભાઇ અને માતા આશાબેને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી.
પરીની અંતિમયાત્રામાં તેના દાદા ધારાસભ્ય ભીખાભાઇ જોશી ઉપરાંત મહિલાઓ સહિતના પરિવારજનો જોડાયા હતા.
આ ઉપરાંત બાળકીની અંતિમયાત્રામાં સંતશ્રી ઇન્દ્રભારતીબાપુ, કેબીનેટ પ્રધાન જવાહરભાઇ ચાવડા, ધારાસભ્યો લલીતભાઇ વસોયા, હર્ષદભાઇ રીબડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, મેયર આદ્યાશકિતબેન મજમૂદાર, ડો. ડી.પી.ચિખલીયા, અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, એડવોકેટ બાબુભાઇ માંગુકીયા, આગેવાનો સંજયભાઇ કોરડીયા, નટુભાઇ પોકીયા, લલીતભાઇ સુવાગીયા, વિનુભાઇ અમીપરા, શશીકાંતભાઇ ભીમાણી, જસકુભાઇ, ભીખુભાઇ યાદવ તેમજ બ્રહ્મસમાજના પ્રફુલભાઇ જોશી, આરતીબેન જોશી, શૈલેષભાઇ દવે, અશોકભાઇ ભટ્ટ, શશીકાંતભાઇ બોરસાગર, કાળુભાઇ સુખવાણી, ભરતભાઇ લખલાણી વગેરે મોટી સંખ્યામાં જોડાયને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પી હતી અને જોશી પરિવારને સાંત્વના પાઠવી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)