અમરેલી જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : કલેકટર
અમરેલી,તા. ૨૦: જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકએ રેમડેસીવીરના ઉપયોગ બાબતે જણાવ્યું હતું કે રાજય સરકારની સુચના મુજબ હવે તમામ સરકારી દવાખાના સિવાય ખાનગી કોવીડ દવાખાનાઓને પણ રેમડેસીવીરનો જથ્થો રાજય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે પરંતુ એ દવાખાનું ડેઝીગ્નેટેડ કોવીડ દવાખાનું હોવું જોઇએ. જેમાં કોવીડ પોઝીટીવ દર્દીઓની સાથે સાથે RTPCR નેગેટીવ દર્દીઓ કે જેના સીટી સ્કેન રિપોર્ટમાં કોરોનાના લક્ષણો દેખાય છે એવા દર્દીઓને જો ફિઝિશિયન પ્રીસ્ક્રાઈબ કરે તો એમને પણ રેમડેસીવીરનો જથ્થો રાજય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે. પરંતુ હાલ જિલ્લામાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સામાન્ય દવાખાનાઓ અને અન્ય આયુર્વેદ, હોમિયોપેથી અને એમબીબીએસ ડોકટરો દ્વારા રેમડેસીવીર પ્રીસ્ક્રાઈબ થઈ રહી છે પરંતુ રાજય સરકાર દ્વારા રેમડેસીવીરના ઉપયોગ માટે એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે તો તમામ લોકોએ આ ગાઇડલાઇનનો અભ્યાસ કરવો જરૂરી છે. જો આપના ફિઝિશિયન રેમડેસીવીર પ્રીસ્ક્રાઈબ કરે તો ફકત ડેઝીગ્નેટેડ કોવીડ દવાખાનાઓ મારફતે જ લેવા અપીલ કરી હતી.