સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

કાલે રામનવમી : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના મુકિત માટે પ્રાર્થના કરાશેઃ જામનગરમાં રામસવારી રદ

ઘરે બેઠા જ ઉજવણી કરાશે : મંદિરોમાં ફકત મહાઆરતી, પૂજન, અર્ચનના કાર્યક્રમો : ભાવિકો લાભ નહીં લઇ શકે

રાજકોટ,તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં કાલે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ વખતે કોરોના મહામારીના કારણે ઘરે બેઠા જ ભાવિકો કોરોના મહામારીમાંથી મુકિત માટે પ્રાર્થના કરીને રામનવમી ઉજવાશે.

 

શ્રીરામ મંદિરોમાં કાલે ફકત મહાઆરતી, પૂજન, અર્ચનના કાર્યક્રમો જ યોજાશે. જ્‍યારે ભાવિકો કોરોનાના કારણે રૂબરૂ દર્શનનો લાભ નહીં લઇ શકે.

 

જામગરમાં રામસવારી શોભાયાત્રા રદ કરાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : પ્રતિવર્ષ રામનવમીના મંગલદિને આયોજિત રામસવારી આ વર્ષે મહામારીની વિપરીત પરિસ્‍થિતિના કારણે નહીં યોજવાનું નિર્ધારિત કરાયું છે. જામનગરમાં છેલ્લા સાડાત્રણ દાયકા કરતાંયે વધુ વર્ષોથી હિન્‍દુ ઉત્‍સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટના નેજા હેઠળ રામનવમી પર્વે ભવ્‍યાતિભવ્‍ય રામસવારીનું આયોજન થતું આવ્‍યું છે. જેમાં સમગ્ર શહેરના રામભક્‍તો, હિન્‍દુ ભાવિકો, યુવક મંડળ, જ્ઞાતિ મંડળ, સેવાભાવી સંસ્‍થાઓ બહોળી સંખ્‍યામાં જોડાઈને બપોરના ૦૪ વાગ્‍યાથી રાત્રીના ૧૨ વાગ્‍યા દરમિયાન ભારે ઉલ્લાસપૂર્વક જોડાતા રહે છે. પરંતુ હાલ કોરોના મહામારીની બીજી લહેર વિનાશક તથા જીવલેણ બની છે. કોરોના સંક્રમણ બેકાબુ બન્‍યું છે. રાત્રીના ૦૮ વાગ્‍યાથી સમગ્ર શહેરમાં કોરોના રાત્રી કર્ફયુ લદાયો છે. તે સિવાય જાહેર સામુહિક કાર્યક્રમના આયોજનને લગતા પ્રતિબંધાત્‍મક સરકારી આદેશો પણ અમલમાં છે.

આવી વૈશ્વિક કટોકટીના કપરાં કાળમાં વિશાળ જનસમુદાય અને ભાવિકગણના સ્‍વાસ્‍થ્‍યના હિતાર્થે સરકારી તંત્રના અનુરોધને ધ્‍યાને લઈ રામસવારીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્‍યો છે. હિન્‍દુ ઉત્‍સવ સમિતિના અધ્‍યક્ષ અને સ્‍વામિનારાયણ મંદિરના સંત પૂ. ચતુર્ભુજદાસજી મહારાજે ભક્‍તજનોને અનુરોધ કરતાં જણાવ્‍યું છે કે, ‘મહામારીની આવી વિકટ સ્‍થિતિમાં લોકોએ દ્યર પર રહીને જ શ્રધ્‍ધાપૂર્વક ભક્‍તિભાવ આચરવાનો છે.' ‘રામનવમીના પર્વે હિન્‍દુ પરિવારો પોતાના નિવાસસ્‍થાન પર આખો દિવસ ભગવો ધ્‍વજ લહેરાવે. મધ્‍યાહ્ને શ્રીરામજન્‍મ સમયે ઘરમંદિરમાં પૂજન -અર્ચન - દીપ - આરતી સાથે ‘શ્રી રામ જય રામ જય જય રામ' વિજયમંત્રના પાઠ-ધૂન કરે તેમજ સાંજે દ્યરઆંગણે દીપ પ્રાગટ્‍ય કરી ને રામનવમીની આસ્‍થાભેર ઉજવણી કરે.'

મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી રાજુભાઇ વ્‍યાસે પણ જણાવ્‍યું છે કે, ‘રામસવારીનો કાર્યક્રમ રદ કરાયો હોવાથી મંડળના સભ્‍યો સહિત શહેરના ભક્‍તજનોએ ઘરમાં રહી શ્રી રામચંદ્ર ભગવાનને હ્રદયપૂર્વક પ્રાર્થના કરવાની કે, હાલનાં કપરાં સમયમાં સમગ્ર માનવજાતની સુરક્ષા કરી કોરોના કાળનો જલ્‍દીથી અંત લાવે.'તેમ ચતુર્ભુજદાસજી મહારાજ (અધ્‍યક્ષ, હિન્‍દુ ઉત્‍સવ સમિતિ, જામનગર ) રાજુ વ્‍યાસ (મહાદેવ) (પ્રમુખ, મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્‍ટ, જામનગર)એ જણાવ્‍યું છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ઉજવાતી શ્રી રામનવમીની ઉજવણી આ વર્ષ તા. ૨૧ના રોજ મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય દિવસની ઉજવણી કોરોના મહામારી આ વર્ષે ખૂબ રોદ્ર સ્‍વરૂપ ધારણ કરેલુ હોય ત્‍યાં લોક સમુહનું ભેગું થવું હિતાવહના હોય માટે આ કાર્યક્રમ મોકૂફ રાખેલ છે. માત્ર ભગવાનના પ્રાગટયની મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં માત્ર (૫ થી ૭) વ્‍યકિતની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્‍ન કરવામાં આવશે. તેમ દિપેન્‍દ્રભાઇ યાદવ શ્રી હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્‍ટ -જૂનાગઢએ જણાવ્‍યું છે.

(11:01 am IST)