જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજ આયોજીત રામનવમી મહોત્સવ મોકુફ
રાજકોટ તા. ર૦: સમસ્ત ખાંટ રાજપુત સમાજના આસ્થાની જગ્યા અને સમાજના સંત શિરોમણી ભકત શ્રી રામબાપાની જગ્યા મેવાસા મુકામે દર વર્ષે રામનવમી મહોત્સવ ઉજવાય છે. જેમાં ભજન, ભોજન સાથે દિવસ દરમિયાન હોમ, હવન, સત્યનારાયણ ભગવાનની કથા લોકોના મનોરંજન માટે ભવ્ય લોકમેળો તેમજ રાત્રે નામી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમો ઉજવાય છે.
જેમાં હજારોની સંખ્યામાં ખાંટ રાજપૂત સમાજના જ્ઞાતિ બંધુઓ તેમજ અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં આસ્થા પૂર્વક રામનવમી ઉજવવા હાજરી આપે છે. પરંતુ હાલ કોરોના વાયરસના વૈશ્વિક સંકટને કારણે આપણા ભારત તથા રાજય પર પણ આ મહામારીનું સંકટ છે. ત્યારે વાયરસના ફેલાવાને અટકાવવા રાષ્ટ્રહિતમાં પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવતા સરકારશ્રીના નિર્ણયને સહર્ષ સ્વીકારી પ્રજાહિતાર્થે આ વર્ષે ઉજવણીનો કાર્યક્રમ સમસ્ત ખાંટ રાજપુત સમાજ દ્વારા મોકુફ રાખવામાં આવેલ છે. તેમજ લોકોની સુખાકારી અને સારા સ્વાસ્થય માટે સત્વરે આ મહામારીનો અંત આવે એવી ભગવાનશ્રી રામને સમસ્ત ખાંટ રાજપૂત સમાજ પ્રાર્થના કરી છે. તેમ ભુપતભાઇ કે. સોલંકી - પ્રમુખ તથા ઉત્સવ સમિતિ ભકતશ્રી રામબાપાની જગ્યા મેવાસા ની એક યાદીમાં જણાવાયું છે.