ગીરનાર એ આધ્યાત્મનું વૈશ્વિક કેન્દ્રબિંદુ છે -ડો જહોન વેનર
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક જહોન વેનરનું વ્યાખ્યાન યોજાયું
જુનાગઢ તા ૨૦ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ઓસ્ટ્રેલિયન મૂળનાં વૈજ્ઞાનિક ડો. જહોન વેનરનું વ્યાખ્યાન યોજાયું. ઓસ્ટ્રલિયાની વિકટોરીયન યુનીવર્સીટીથી ડોકટર થયેલા અને બાયોલોજી, ઇકોલોજી અને ઝુઓલોજી વિષયના નિષ્ણાંત ડો. જહોન વેનરે ૩૩ જેટલા પુસ્તકો લખ્યાં છે, જેમાં ગીરનાર ક્ષેત્રનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ દર્શાવતા પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. તેમણે તેમનાં વ્યાખ્યાનમાં જણાવ્યું કે, ગીરનાર એે સિદ્ધ ક્ષેત્ર છે અને આધ્યાત્મનું વૈશ્વિક કેન્દ્રબિંદુ છે. ગીરનાર અને ગીરમાં કુલ ૧૦૦૦ થી વધુ જાતના વૃક્ષો છે, જે ઓૈષ્ધીય રીતે ખુબજ ઉપયોગી છે. ૩૦૦ થી વધુ જાતના પક્ષીઓનું નિવાસસ્થાન છે. તે સંદર્ભે હાલ ગીર જંગલમાં સંરક્ષણની ખુબ જરૂર છે. લગભગ ર૧ વર્ષથી જુનાગઢ ગીરનારની નિયમીત મુલાકાત લેનાર જહોન વેનરે જુનાગઢ ખાતે અનેક સંશોધનો કરેલા છે.
યુનિવીર્સટીના કા. કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ ડો. જહોન વેનરનું ભાવભીનું સ્વાગત કરતાં જણાવ્યું કે, ગીરનાર ક્ષેત્ર પર વૈજ્ઞાનિક અભિગમના સંશોધન સાથે તેમના સંશોધનમાં આધ્યાત્મિકતાનું જોડાણ છે. ડો વેનરનું અત્રેની યુનિવર્સિટી ખાતેનું વ્યાખ્યાન યાદગાર સંભારણું બની રહેશે. તેમજ સંશોધન ક્ષેત્રે રસ ધરાવનાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહેશે. ઇતિહાસ વિભાગના આધ્યાપક ડો. વિશાલ જોષીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું, તેમજ અંગ્રેજી વિભાગના આધ્યાપક ડો. ફિરોઝ શેખે આ કાર્યક્રમના અંતે આભાર વિધી કરી હતી. પ્રસ્તુત વ્યાખ્યાનનો યુનિવર્સિટીનાં દરેક વિભાગનાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ લાભ લીધો હતો તેમ યુનિવર્સિટીની સતાવાર યાદીમાં જણાવાયું છે. (૩.૧૦)