સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઈતિહાસને જીવંત કરાશે

પુરાતત્વ વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરાશે : સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદીએ આ માટે સહમતિ દર્શાવી

સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદી એ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે પુરાતત્વ વિભાગ અથવા તો કોઈ યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે. મંગળવારે બેઠકમાં સોમનાથમાં પુરાતત્વ વિભાગ દ્વારા શોધખોળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્રભાઈ મોદીએ સ્કંદપુરાણમાં જેટલો ઉલ્લેખ છે એ તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી હતી. અને આ કામગિરી માટે કોઇ યુનિવર્સિટી અથવા સોમનાથ ટ્રસ્ટ પોતે પણ કોઇને આ કામગિરી સોંપી શકે એમ છે. પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધિકારી રાવતનાં માર્ગદર્શન હેઠળ આ કામગિરી હાથ ધરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી  મોદીને સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષનાં કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈ મોદી દેશના બીજા વડાપ્રધાન છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી હોય. તેમની અગાઉ મોરારજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા હતા.

ત્રણ મહિના પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ (નું અવસાન થયા બાદ ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણૂંક કરવા માટે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતનાં ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલકા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડા ની દર ત્રણ મહિને રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટ જીએમ દ્વારા જણાવાયું હતું.

(11:35 am IST)