જામનગરમાં સોલીડ વેસ્ટ શાખામાં સફાઇ કામદારોની સંખ્યા વધારાશે
સફાઇ કામદારોની સંખ્યા વધારીને 1,281 કરાશે
જામનગર :શહેરના વધી રહેલા વિસ્તાર તથા વસતીને ધ્યાનમાં રાખી સોલીડ વેસ્ટ શાખામાં સફાઇ કામદારોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે. સફાઇ કામદારોની સંખ્યા વધારીને 1,281 કરાશે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં છ ઠરાવો મંજૂર થયાં છે. ખાસ કરીને સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદારોનું રિવાઇઝ સેટઅપ કરવા નિર્ણય કરાયો હતો. અગાઉ 1201 નું સેટઅપ ચાલતું હતું તેમાં હવે 180 કામદારો નો સમાવેશ કરી આંકડો 1,281 સુધી લઇ જવાશે. સ્ટેન્ડિંગ કમિટીના સુચન મુજબ સોલીડ વેસ્ટ મેનેજમેંટ શાખાના નવા સફાઈ કામદારો ને ભરતી કરવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયો છે.
જામનગર માં કેટલાક વોર્ડ ના વિસ્તારો વધ્યા હોવાથી વધુ સફાઈ કામદારો ની જરૂર છે. સામાન્ય સભામાં અમૃત યોજના 2019 અંતર્ગત રિઝર્વ પ્લોટમાં ઘનિષ્ઠ વનીકરણ કરવા માટેના ત્રણ ઠરાવ પાસ કર્યા હતા જેમાં રામચંદ્રા મિશન ટ્રસ્ટ, નેચર એન્ડ એડવેન્ચર ક્લબને વૃક્ષો ઉછેરવા સંમતિ આપી હતી. આ ઉપરાંત જામનગર પોલીસ વિભાગને પોલીસચોકી બનાવવા માટે જમીન ફાળવવા પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.