સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

મૂછડિયાની ગુલાંટ : જીવતા સમાધિ લેવાનો ઇનકાર કર્યો

સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો : પોતાના ગુરૂની સાથે થયેલ ચર્ચા બાદ કાંતિલાલે સમાધિનો નિર્ણય પરત ખેંચી લેતાં સામાન્ય લોકોમાં જોરદાર ચર્ચાઓ

અમદાવાદ, તા.૧૯ : મોરબીના પીપળીયા ગામે રહેનાર કાંતિલાલ મૂછડીયા દ્વારા જીવતા સમાધિ લેવાની કરાયેલી જાહેરાત હવે આખરે પાછી ખેંચી લેવામાં આવી છે. ગુરૂ બાપુની ભારે સમજાવટ અને વિનંતીને માન આપીને કાંતિલાલે જીવતા સમાધિ લેવાનું માંડી વાળ્યું છે. પોતાના ગુરૂ સાથે થયેલી ચર્ચા બાદ કાંતિલાલે આ નિર્ણય પરત ખેંચી લેતાં તંત્રએ પણ રાહત અનુભવી હતી. અગાઉ કાંતિલાલ દ્વારા તા.૨૮મી નવેમ્બરે જીવતા સમાધિ લેવાની જાહેરાતને લઇ સમગ્ર મામલો ખૂબ ગરમાયો હતો અને ભારે ચકચાર મચાવનાર આ કિસ્સામાં જનવિજ્ઞાન જાથા અને પોલીસેજઈને કાંતિલાલને (દ્ભટ્ઠહંૈઙ્મટ્ઠઙ્મ) સમજાવ્યા હતા. કાંતિલાલે અગાઉ તમામ સમજાવટો બાદ પણ સમાધિ લેવાની જાહેરાત કરતા મામલો બીચક્યો હતો. જો કે, હવે આ મામલે બધું જ સમુસુથરું પાર પડ્યું છે. કાંતિલાલ મૂછડિયાએ જણાવ્યું કે, દાદાએ મને હાથ જોડીને કહ્યું નહીંતર હું તો સામાન્ય માણસ છું. જ્યાં ગુરૂ આજ્ઞા મળી જાય.

                       ગુરૂ ગાદી આવી જાય ત્યાં માણસ લાચાર થઈ જાય. હું અગાઉ પણ તમને ગુરૂની સાક્ષીએ જ સમાધિ લેવાનું કહેતો હતો બાકી એમાં બીજી વાત ન આવે. મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ દ્વારા આગામી તા.૨૮ના રોજ સમાધી લેવાની વાતની જાહેરાત અચાનક જ કરવામાં આવતા ભારે તર્ક વિતર્ક સર્જાયા હતા તો બીજી બાજુ વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા આ બધો ઢોંગ હોવાનો દાવો કરી આ વાત પોકળ હોવાની મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી. વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા દ્વારા કાંતિલાલ ને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને આવું બનશે તો તે પોતાની વીજ્ઞાન જાથા બંધ કરી દેશે તેવું વચન આપ્યું હતું ત્યારે સામે કાંતિલાલ દ્વારા પણ આવું નહિ બને તો તે કાયદેસર કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર થવા તેમજ કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવાનું નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ દાવાઓ અને ઘટનાક્રમ વચ્ચે કાંતિલાલે જીવતા સમાધિ લેવાની વાત પર ગુરૂનું નામ આગળ ધરીને પડદો પાડી દેતાં વિવાદ શમી ગયો છે.

(8:30 pm IST)