એક સમયે ખંઢેર બની ગયેલ ગીર સોમનાથના ઉના પાસેના ગુપ્ત પ્રયાગ હવે પ્રવાસન માટે લોકપ્રિય
ઉના :દેશમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રયાગ આવેલા છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, નંદપ્રયાગ સોન પ્રયાગ, વિષ્ણુ પ્રયાગ છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે ગુજરાતમાં પણ એક પ્રયાગ આવેલું છે. ઉના પાસે ગુપ્ત પ્રયાગ આવેલું છે. પ્રયાગના જીર્ણોદ્ધાર માટે શ્રી મુક્તાનંદ બાપુ અપાર મહેનત કરી રહ્યા છે. એક સમયે ખંડેર બની ગયેલ આ અમૂલ્ય વિરાસત માટે અથાગ પરિશ્રમ અને મહેનતના પરિણામે ગુપ્ત પ્રયાગ હવે પ્રવાસન માટે લોકપ્રિય બની રહ્યું છે. આ પ્રયાગ ગુજરાતના ફેમસ ટુરિસ્ટ સ્થળ દીવમાં છે.
ભગવતગીતામાં દીવનો ઉલ્લેખ
ભગવતગીતાના 18માં અધ્યાયમાં ગુપ્ત પ્રયાગનું વર્ણન કરવામાં આવ્યું છે. રાક્ષસ જલંધરના કારણે સમગ્ર ભારત વર્ષ પરેશાન હતું અને દીવ અને ગુપ્ત પ્રયાગ જંલધરના ઈતિહાસથી સંકળાયેલી પૌરાણિક કથા છે. દીવમાં પણ જંલધર બીચ આ કથાનો એક ભાગ છે. દીવમાં જંલધર બીચ ખાતે જંલધરનું મંદિર પણ સ્થાપિત છે.
જલંધર રક્ષસનું મસ્તક દીવમાં પડ્યું હતું
દીવ એક પર્યટક સ્થળની સાથે દેવોની નગરી પણ કહેવામાં આવે છે. દીવમાં એક જંલધર બીચ છે, જેની પાછળ એક પૌરાણિક કથા છે. જંલધર સમુદ્રનો પુત્ર અને લક્ષ્મીજીનો ભાઈ હતો. જેને સત્તા મળતા તે રાજા બની અત્યાચાર ફેલાવતો હતો. તેના આ અત્યાચારને ખતમ કરવા અને જંલધરનો નાશ કરવા સ્વંય ભગવાનને કપટ કરવું પડ્યું હતું. જંલધરની પત્ની વૃંદા સતી હતી. તેથી તેમના પતિ જંલધરને કોઈ મારી શકે તેમ ન હતું. જો વૃંદાનું સતીત્વ ભંગ થાય તો જંલધરનું મૃત્યુ થાય. તેથી ભગવાન જંલધરનું રુપ લઈને વૃંદાનું સતીત્વ ભંગ કરે છે. ત્યારે યુદ્ધ કરવા ગયેલ જંલધરનું મસ્તક વૃંદાના ખોળામાં પડે ત્યારે સામે ઉભેલા ભગવાનને વૃંદા પૂછે છે કે, આપ કોણ છો? ત્યારે ભગવાન તેમના અસલી રૂપમાં આવે છે, ત્યારે વૃંદા તેમને પથ્થર બનવાનો શ્રાપ આપે છે, સાથે ભગવાન પણ વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપે છે. તેથી તે તુલસી બને છે. દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે લોકો શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરાવે છે. જેને તે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે. દીવમાં જ્યાં જંલધરનું મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે. તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવમાં તુલસી પણ દરેક સ્થળે તરત જ ઉગી નીકળે છે અને દીવના લોકો જંલધરની પણ પૂજા કરે છે.
સમસ્ત ભારતીય સાધુ સમાજ પ્રમુખના મુક્તાનંદ બાપુ જણાવે છે કે, દંતકથા મુતાબીક જંલધરનુ મસ્તક દીવમાં પડ્યું હતું. ભગવાન ગુપ્ત પ્રયાગ રહેલા એને કારણે જ ગુપ્ત પ્રયાગનું અનેરું મહત્વ છે. જલંધર બીચ પણ દીવમાં આવેલો છે. આમ દીવ ઉના અને ગુપ્ત પ્રયાગ એકબીજા સાથે સંકળાયેલ છે
ગુપ્ત પ્રયાગનું રિનોવેશન
ગુપ્ત પ્રયાગના રીનોવેશન માટે સરકાર પણ પૂરા પ્રયત્ન કરી રહ્યું છે. બીજી તરફ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ દ્વારા પણ વિકાસ કામોને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ગુપ્ત પ્રયાગમાં વર્ષો પહેલાથી વૃદ્ધાશ્રમ ચલાવાઈ રહ્યું છે. તો બીજી તરફ તમામ કુંડોનું રિનોવેશન હાથ ધરાશે. સાથે જ પુલોના નિર્માણની સાથે ભોજનાલય અને અદ્યતન આવાસોનું પણ નિર્માણ થશે. આવનારા દિવસોમાં ગુપ્ત પ્રયાગની કાયાપલટ થઈ જશે.
ગુપ્ત પ્રયાગ સમિતિના સુંદરપરી ગોસ્વામી સ્વામી કહે છે કે, ગુપ્ત પ્રયાગમાં વિષ્ણુયાગ યજ્ઞ, તુલસી વિવાહ અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ આયોજન કરાય છે. જેમાં અનેક હિન્દુ-મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. મુકતાનંદ બાપુના અથાગ પ્રયત્નોથી આજે ગુપ્ત પ્રયાગ વિકાસની નવી હરણફાળ ભરી રહ્યું છે અને આવનારા દિવસોમાં ગુપ્ત પ્રયાગ સારું એવું પર્યટન સ્થળ બનશે ચોક્કસ કહી શકાય.