સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

મોરબીના સામા કાંઠે ફાયર સ્ટેશન બનાવોઃ બ્રિજેશ મેરજા

આગ લાગે ત્યારે કૂવો નહિ ખોદવાનો, બંબાવાળાને બોલાવવાના

મોરબી તા.૧૯: મોરબી જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જીલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી જે બેઠકમાં મોરબીના ધારાસભ્યે સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ કરી છે

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંકલન સમિતિની બેઠક પૂર્વે આગોતરા પ્રશ્નોે મોકલીને માંગણી કરી હતી કે મોરબીના સામાકાંઠાનો ઉતરોતર વધી રહેલો વિકાસ તેમજ સિરામિક ફેકટરીઓને ધ્યાને લેતા સામાકાંઠે ફાયર સ્ટેશન હોવું જોઈએ જેથી ઈમરજન્સીમાં આગ જેવા બનાવો બને ત્યારે અગ્નિશામક સુવિધા આ વિસ્તારના રહીશોને તાત્કાલિક મળી સકે તે ઉપરાંત નર્મદાની પાવળીયારી કેનાલ જીવાપર પાસે રીપેરીંગ કરવા, ટીંબડી ગામને નર્મદાની સિચાઈનું પાણી મળે તે માટે ઘૂટું ખાતે સંપ બનાવવા, ધરમપુરનો જુનો બંધ થયેલો બસ રૂટ પુનઃ ચાલુ કરવા, મોરબી-બગસરા વાયા નાના ભેલા બસ રૂટની અનિયમિતતા દુર કરી અગાઉના સમય મુજબ નિયમિત બસ સુવિધા ચાલુ રહે તેમ કરવાની માંગ કરી છે

વધુમાં જણાવ્યું છે કે મોરબી શહેરના માધાપર, વાવડી રોડ, ગાંધી ચોક રોડ પરના ખાડા પૂરી રીપેર કરવા, રેલ્વે સ્ટેશનથી પરશુરામ ધામ જતા રસ્તામાં પીવાના પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી પાણી પુરવઠા બોર્ડ અને માર્ગ મકાન વચ્ચે સંકલન કરીને તાકીદે કામ પૂરું કરવા, માળિયા ખાતે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને વિશ્રામ ગૃહ જેવી સુવિધા સાથે નવું તાલુકા સેવા સદન બાંધવા  અવાજ ઉઠાવ્યો હતો.

તેમજ માળિયા શહેરની ડ્રેનેજની મંથર કામગીરી અંગે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સાથે અધિક કલેકટર ના પરામર્શમાં આ મુદે ઝડપી કામગીરી કરવા ધારાસભ્યે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી અને માળિયા નગરપાલિકાના ૨૧ જેટલા રસ્તાઓની તાંત્રિક મંજુરી આપવા માંગણી કરી હતી.

(1:11 pm IST)