સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th November 2018

મોરબીના ચકચારી સો ઓરડી વિસ્તારના હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

પ્રત્યક્ષ પુરાવા ન મળતા નામદાર કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો

મોરબીના સો ઓરડી વિસ્તારના ચકચારી હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા નામદાર કોર્ટે બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોયાએ આરોપી ધીરજ પરસોતમ વિરુદ્ધ પોતાના પિતાને ધાતક હથિયાર વડે મોત નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધીરજ પરસોતમ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી પોલીસે ધરપકડ કરી હતી જે અંગેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતો હોય જેમાં મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સમક્ષ બચાવપક્ષે એડવોકેટ દિલીપ અગેચણિયા દ્વારા ધારદાર દલીલો કરી પ્રત્યક્ષ પુરાવા રજૂ કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ જવાની સાથે સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ નિવેદન આપનાર વિપરીત જુબાની આપતા હોવાનું તેમજ મરણ જનારના પુત્રને પાછળથી ખબર પડેલ કે તેમના પિતાજીનું ખૂન ધીરજે કર્યું છે. તમામ પુરાવા અને જુબાનીમાં ફરિયાદ પક્ષ તહોમતદારની સંડોવણી અંગેના પ્રત્યક્ષ પુરાવા આપવામાં નિષ્ફળ જતા બચાવપક્ષે નિર્દોષને ખોટી સજા ન થવી જોઈએ તેવી દલીલ કરતા નામદાર અદાલતે આરોપી ધીરજ પરસોત્તમને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

 

(7:12 pm IST)