લાઠી-બાબરા તાલુકાના ખેડૂતો માટે ૪૧ કરોડનો પાકવિમો મંજુર
પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાની સફળ રજુઆત
વડિયા-બાબરા-અમરેલી તા.૧૯: લાઠી-બાબરા તાલુકામા ખેડુતોને પાક વિમો ચુકવવા મુદે પૂર્વ ધારાસભ્ય ઉંધાડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સરકારમા રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્વારા ખેડુતો માટે ૪૧ કરોડનો પાક વિમો મંજુર કરતા ખેડુતોમા ખુશી ફેલાઇ હતી.
લાઠી બાબરા તાલુકામાં ગત વર્ષના પાક વીમા માટે ખેડુતોની બુમરાણ વચ્ચે ખેડુત હિત માટે કામ કરતા પૂર્વ ધારાસભ્ય,પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઊંધાડ દ્વારા મહત્વની ચર્ચામાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં ખેડુતોમાં પાક વીમા ચૂકવવા માટે તેમના ઘટતી કાર્યવાહી હાથ ધરવા અંગે ધારદાર રજુઆત કરવામાં આવી હતી.
જે અંતર્ગત આગામી દિવસોમાં લાઠી બાબરા વિસ્તારના ખેડુતો માટે રૂપિયા ૪૧ કરોડનો પાક વીમો બેંક ખાતામાં જમા થવા પામનાર હોવાની વિગતો આપી હતી. બાબરા લાઠી વિસ્તારનંુ વર્ષો સુધી પરીણામલક્ષી પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ઉંધાડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાની રજુઆતને સફળતા મળી હતી. જેને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.(૧.૮)