એપ્રિલ સુધીમાં ગિરનાર રોપ-વે કાર્યરત : જૂનાગઢ માટે ઉગશે સોનાનો સૂરજ
યાત્રિકો જુનાગઢના ઇતિહાસથી વાકેફ થાય તે માટે ટ્રોલીમાં માઇક્રોફોન પણ મુકો : ૮ યાત્રિકો બેસી શકે એવી ૨૫ ટ્રોલી લગાવાશે : કલાકમાં ૮૦૦ લોકો અંબાજી પહોંચશે : પ્રોજેકટનું કામ પૂરજોશમાં
જૂનાગઢ તા. ૧૯ : સોનેરી પ્રોજેકટ ગિરનાર રોપ-વે આગામી એપ્રિલ સુધીમાં કાર્યરત કરવા માટે કામગીરીને લઇ રાત-દિવસ એક કરવામાં આવ્યા છે.
૨૦૦૭માં ગુજરાત સ્થાપના દિનને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે જૂનાગઢમાં ભવનાથ ખાતે તે સમયના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વેનો શિલારોપણવિધિ કરેલ. ગિરનાર રોપ-વે પ્રોજેકટની હાલ ચાલી રહેલી કામગીરીની માહિતી આપતા ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીના ડાયરેકટર અને રોપ-વેના અભ્યાસુ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવેલ કે, ઉષા બ્રેકો કંપની હસ્તકના ગિરનાર રોપ-વે પ્રોજેકટને ઝડપભેર પૂર્ણ થાય તે માટે વડાપ્રધાન શ્રી મોદીની અંગત લાગણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રસ લઇ રહ્યા છે અને સંભવતઃ જુન માસ સુધીમાં રોપ-વે પ્રોજેકટની કામગીરી પૂર્ણ કરી રોપ-વેને કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.
પ્રારંભમાં આ પ્રોજેકટ માટે રૂા. ૮૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ પરંતુ અત્યારે ખર્ચ રૂા. ૧૨૦ કરોડ થશે. જોકે, રોપ-વે શરૂ થયેથી જૂનાગઢ માટે સોનાનો સૂરજ ઉગશે કેમકે, યાત્રિકોની સંખ્યા વધીને ૮૦ લાખે પહોંચવાની શક્યતા છે. યાત્રિકો વધવાની સાથે જુનાગઢની આવક, સમૃધ્ધિમાં વધારો થશે.
રોપ-વે માટે ઓસ્ટ્રીયા અને ઇટાલીથી બે શીપ દ્વારા મશીનરી આવી ચૂકી છે અને હાલ મટીરીયલ્સ રોપ-વેની પાંચ ટનની ક્ષમતાવાળી ટ્રોલી કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે.
૨૦૦૭માં ખાતમુહૂર્ત વખતે એક સાથે ૮૦ પેસેન્જરો બેસી શકે એવી ટ્રોલીની જોગવાઇ હતી. હવે ૮ પેસેન્જર બેસી શકે એવી ૨૫ ટ્રોલી લગાવવામાં આવશે. બાદમાં તબક્કાવાર વધારો કરી ટ્રોલીની સંખ્યા ૩૧ કરવામાં આવશે.
એક ટ્રોલીમાં ૮ યાત્રિકો બેસી શકે એવો દેશનો પ્રથમ ગિરનાર રોપ-વે બની રહેશે. નવી મોનોકેબલ ટેકનોલોજીના આધારે રોપ-વેની ટ્રોલીની ડિઝાઇન પવનની ઝડપનો પ્રતિકાર કરી શકે એવી એરોડાઇનેમીક પ્રકારની હશે. જેમાં ૧ કલાકમાં આશરે ૮૦૦ લોકો એટલે કે અંદાજે ૧૦૦ જેટલી ટ્રોલી અંબાજી સુધી જશે.
ઓક્ટોબરમાં મટીરીયલ રોપ-વે શરૂ થઇ જશે અને સમગ્ર પ્રોજેકટનો એપ્રિલ સુધીમાં મંગલારંભ થઇ જાય તે પ્રમાણે અત્યારે રાત-દિવસ કામગીરી ચાલી રહી હોવાનું શ્રી ખીમાણીએ જણાવ્યું હતું.
શ્રી પ્રદીપ ખીમાણીએ જણાવેલ કે, ગિરનાર રોપ-વે નીચેથી ઉપર ૭ મિનિટમાં પહોંચશે અને આજ પ્રમાણે ઉપરથી એટલે કે અંબાજીથી નીચે તળેટી સુધી ટ્રોલીને પહોંચતા ૭ મિનિટનો સમય લાગશે.
શ્રી ખીમાણીએ રોપ-વેની ટ્રોલીમાં યાત્રિકો જૂનાગઢના ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસથી વાકેફ થઇ શકે તે માટે માઇક્રોફોન સાથે ઓડિયો કલીપ મુકવાનું સૂચન કર્યું છે. આમ, ગિરનાર રોપ-વે પ્રોજેકટનું સોનેરી સ્વપ્ન અને યોજના સંપૂર્ણપણે શરૂ થવાને આડે થોડા જ મહિનાઓ બાકી હોય યાત્રિકો સહિત જૂનાગઢવાસીઓમાં ભારે ઉત્તેજના પ્રવર્તે છે.