સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

તુલસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવનો થનગનાટઃ ભાવિકોનો વહેતો અવિરત પ્રવાહ

ગીરના આહ્લાદક વાતાવરણમાં પ્રકૃતિ અને પરમેશ્વરનું સાંનિધ્ય માણવા લાખો ભાવિકો ઉમટશેઃ ભગવાન શ્યામના જન્મના વધામણાં સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, દુનિયાના દેશોમાં જાણીતી પોરબંદરની મેર રાસ મંડળી કરશે કલા પ્રસ્તુતી

અમરેલી-ભાવનગર, તા.૧૯: ભગવાન સુંદર શ્યામના સવયંભુ તિર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ભવ્ય ઉજવણી થશે. ગોકુલ આઠમ તા. ૨૪ ઓગષ્ટને શનિવારે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યકમો,પૂજા, આરતી ઇત્યાદિ યોજાશે જયારે રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્યામનાં જન્મોત્સવના વધામણાં થશે. આ તકે હજ્જારો ભાવિકો ઉપસ્થિત રહેશે અને પ્રભુ શ્યામના રંગે રંગાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે અહીં પોરબંદરની પ્રખ્યાત મેર રાસ મંડળી કલાત્મક અને અદ્બૂત રાસ રજૂ કરી ભાવ વ્યકત કરશે.

તુલસીશ્યામમાં જન્માષ્ટમી ઉત્સવનો ભારે થનગનાટ જોવા મળી રહો છે અને અત્યારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામા ગીરના જંગલમાં આવેલ આ તીર્થધામ ભગવાન સુંદિરશ્યામનુંઙ્ગ સ્વયંભૂ સ્થાન છે. આથી આ તીર્થસ્થાનનું ધાર્મિક દ્રષ્ટિએ ગોકુલ મથુરા જેટલું જ ભાવિકોને મન મહત્વ રહેલું છે.! શ્યામ ભકતોમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો હરખ ચરમસીમાએ છે અને શ્યામ પરિવાર દ્રારા તૈયારીઓ હાથ ધરાઈ છે.ઙ્ગ અહિ સાતમ આઠમના પર્વોમા સરેરાશ એકથી સવા લાખ દર્શનાર્થીઓની આવન જાવન રહેશે. ગાંડી ગીરમા આહલાદક વાતાવરણ વચ્ચે પ્રકૃતિ અને પરમેશ્વરનો અહિ સંયોગ માણવા મળે છે. આ તીર્થધામ ગરમ પાણીના પ્રવીત્ર કુંડ માટે પણ જાણીતું છે.ઙ્ગ યાત્રા પ્રવાસ માટે અહી લોકોનો અવિરત પ્રવાહ શ્રાવણ માસની શરૂઆતથી જ વહી રહ્યો છે.સાતમ આઠમના દિવસોમાં અહી માનવમેળો જામશે..! તુલસીશ્યામ મંદીર ટ્રસ્ટ દ્રારા યાત્રીઓની સેવા-સુવિધા માટે તૈયારીઓ ચાલી રહી છે.ઙ્ગ ઙ્ગતુલસીશ્યામ મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂ (પૂર્વ, ધારાસભ્ય) એ જણાવ્યું હતુ કે ભગવાન શ્યામ સુંદરના જન્મના વધામણાની તુલસીશ્યામમા વિશિષ્ટ પરંપરા રહેલી છે. વિશાળ શ્યામ પરિવાર અને ભકતજનો પ્રતિવર્ષ ભગવાન શ્યામના જન્મોત્સવમા સામેલ થાય છે. તમામ ભાવિકો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ટ્રસ્ટગણ પણ ખાસ ઉપસ્થિત રહી યાત્રિકોની સેવા-સુવિધા અને વ્યવસ્થાના સુચારુ આયોજનનો ખ્યાલ રાખે છે. જન્માષ્ટમીના પર્વે સવારથી ધાર્મિક કાર્યકર્મો શરુ થશે. રાત્રે ૯ કલાકથી પોરબંદરના મેર સમાજના ભાઈઓ, બહેનો અને સાજીંદાઓ રાસની રમઝટ બોલાવી ભગવાન શ્યામની ભાવ વંદના કરશે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરની રાસ મંડળી પોતાની કલા પ્રસ્તુતિ માટે દેશ અને દુનિયાના દેશોમાં પણ જાણીતી છે. અહીં રાત્રે ૧૨ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. ભાવિક ભકતજનોને જન્માષ્ટમી ઉત્સવમા સામેલ થવા તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્રારા નિમંત્રણ અપાયું છે.

(12:04 pm IST)