અમરેલી જિલ્લામાં થયેલા નુકશાનનો સર્વે કરાવવા સાંસદની રજુઆત
અતિભારે વરસાદને કારણે : સાંસદ નારણભાઇની મુખ્યમંત્રી સમક્ષ લેખીત રજુઆત
અમરેલી તા.૧૯: વર્ષા ઋતુ ૨૦૧૮ અન્વયે અમરેલી સંસદીય વિસ્તારમાં પડેલ અતિ ભારે વરસાદને લીધે થયેલ નુકશાનનો તાત્કાલિક સર્વે કરાવવા અને સહાય ચુકવવા બાબતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને લેખીત તેમજ ટેલિફોનિક રજુઆત કરેલ છે.
સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ અમરેલી જિલ્લા ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા, ગારીયાધાર અને જેસર તાલુકામા સતત પડેલ વણથંભ્યા-અતિશય વરસાદને લીધે ખેડૂતોના પાકની સાથે સાથે જમીનનોનું પણ ધોવાણ થયેલ છે તથા નીચાણવાળા વિસ્તારોમા આવેલ દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી જવાને લીધે માલ મિલકત તથા ઘર વખરી સામાનનું ભારે નુકશાન થયેલ છે. અતઃ અમરેલી સંસદીય મત વિસ્તારના તાલુકાઓનો તાત્કાલિક સર્વે કરાવી થયેલ નુકશાન અન્વયે સહાય ચુકવવા બાબતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરેલ હોવાનુ યાદીમાં જણાવેલ છે.