સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.દ્વારા શનિવારે નવા અનુસ્નાતક ભવનોનો પ્રારંભ

જૂનાગઢથી ખડીયા જતા રોડને પણ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નામ અપાશેઃ ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તથા પૂ.મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ : કુલપતિ પ્રો.(ડો) જે.પી.મૈયાણીના નેતૃત્વ હેઠળ તડામાર તૈયારી

રાજકોટ તા.૧૯: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તા.૨૧-૭-૧૮, શનિવારના રોજ ''નરસિંહ મહેતા સ્મૃતિ વંદના'' કાર્યક્રમ રૂપે નવા ત્રણ અનુસ્નાતક ભવનોનો શુભારંભ-વિદ્યાર્થી પ્રવેશ'' થઇ રહ્યો છે. સાથે-સાથે જૂનાગઢથી ખડીયા જતા રોડને જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી ''ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માર્ગ''નામકરણ પણ થઇ રહ્યું છે. આમ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના આંગણે બબ્બે ગૌરવવંતા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

આ કાર્યક્રમોમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તથા આશીર્વચન આપવા માટે પૂ.મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. અતિથિ વિશેષ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર આદ્યશકિતબેન મજુમદાર તથા મ્યુનિસિપલ કમિશનરની પ્રકાશ સોલંકી (IAS) ઉપસ્થિત રહેશે. જૂનાગઢથી ખડીયા જતા રોડની નામકરણ વિધિ સવારે ૧૧ વાગ્યે યોગીદ્વાર પાસે ખડીયા રોડ ખાતે તથા નવા અનુસ્નાતક ભવનોનો પ્રારંભ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે બપોરે ૧૨-૩૦ વાગ્યે ઉપસ્થિત મહાનુભાવોનો હસ્તે કરવામાં આવશે. નવા ભવનોમાં કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તથા હિસ્ટ્રીનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં હાજર રહેવા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો)જે.પી. મૈયાણી તથા કાર્યકારી કુલસચિવ ડો.એમ.એચ.સોનીએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના દીર્ધદૃષ્ટા કુલપતિ પ્રો.(ડો)જે.પી.મૈયાણીના સીધા માર્ગદર્શન હેઠળ ટીચીંગ-નોનટીચીંગ સહિતનો સમગ્ર સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે.(૭.૪)

 

(11:51 am IST)